
વિતેલા દિવસો દરમ્યાન જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રહ્યા બાદ ગત રવિવારે આ પરીક્ષા પૂર્ણ થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાદ હવે શાળા કક્ષાએ પણ પેપરો ફૂટવાની ઘટનાઓ ઘટતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આણંદ પાસેના મોગરી સ્થિત અનુપમ મિશન સંચાલિત જ્ઞાનયજ્ઞા વિદ્યાલય ખાતે હાલમાં વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે. જો કે ધો.૮માં મહત્ત્વના વિષયના પેપરો લીક થયા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ આજે શાળા સંકુલ ખાતે ધસી જઈ હોબાળો મચાવ્યો હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
શાળા ખાતે ઉમટેલ મહીલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે નડિયાદની એક શાળામાં ફરજ બજાવતા મહીલા પ્રિન્સીપાલે આ પેપરો લીક કરીને પોતાની ભત્રીજીને આપ્યા હતા અને તેણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી નાણાં લઈ પેપરો લીક કર્યાં હતાં. વધુમાં જેમની પાસે આવા લીક પેપરો આવ્યા હોય તેઓની જ પરીક્ષા પુનઃ લેવામાં આવે તેવી રજૂઆત વાલીઓ દ્વારા કરાઈ હતી.
બીજી તરફ શાળા સંચાલકોએ કેટલાક પેપરો લીક થયા હોવાની વાતનો સ્વીકાર કરીને આ અંગે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. ગત રોજ પેપર લીક થયાની જાણ થતા જ તુરત જ કાર્યવાહી કરી આજની પરીક્ષાનું પેપર બદલવામાં આવ્યું હોવા સાથે પરીક્ષા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ શાળા સંચાલકોએ જણાવ્યું હતું.









