
રાજપીપલા ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”ની પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળી વચ્ચે વૃક્ષારોપણ કરી જિલ્લાકક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
માનવીનું જીવન પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર આધારિત છે, વનો નષ્ટ થશે તો આદિવાસીઓનું જીવન જોખમમાં મુકાશે :- સાંસદ મનસુખભાઈ વસાવા
રાજપીપલા : જુનેદ ખત્રી
આજે સમગ્ર વિશ્વ સૃષ્ટિના વાતાવરણમાં થઈ રહેલા અસાધારણ પરિવર્તનોથી ચિંતિત છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ સાથે જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ૫૦ મો વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણથી ક્યુ.આર.(QR) કોડ લોન્ચીંગ કરી ઉજવવામાં આવ્યો હતો.
૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઇફની સામૂહિક ગતિશીલતાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ભરૂચ-નર્મદા સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષસ્થાને ‘પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ નિવારણ’ થીમ અંતર્ગત રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ વડીયા પેલેસ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ વસાવાએ જણાવ્યું કે, માનવીનું જીવન પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર આધારિત છે. વનો નષ્ટ થશે તો આદિવાસીઓનું જીવન આવનારા સમયમાં જોખમમાં મૂકાશે. પૃથ્વીનો પ્રત્યેક જીવ એક યા બીજી રીતે પર્યાવરણ સાથે જોડાયેલો છે. પર્યાવરણ સંરક્ષણ જાળવણી માટે આજે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને નાના-મોટા પ્રયાસ કરી વૃક્ષો વાવીએ, જતન કરીએ. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વૃક્ષોના જતન માટે અનેકવિધ પ્રયાસો અને યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં પણ સારી કામગીરી થઈ રહી છે. જેથી વન વિભાગ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે વધુ લોકોને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નો કરે અને પ્રત્યેક નાગરિકે પોતાની સૃષ્ટિ પર્યાવરણને બચાવવા દેશના યોગદાનમાં પોતાની જવાબદારી સમજીને સહભાગી થઈ ગુજરાતને હરિયાળું વનોથી ભરપુર બનાવે તે આજના સમયની માંગ છે.
નર્મદા વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ, દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. તાલીમાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ સમૂહ તસ્વીર પડાવી હતી. અને ૫૦૦૦ વૃક્ષો વાવવાની નેમ વ્યક્ત કરી હતી. રેંજ ફોરેસ્ટના તાલીમાર્થી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણના રક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી.
બોક્ષ…
જોકે કાર્યક્રમ “પ્લાસ્ટિક થી થતાં પ્રદૂષણનું નિવારણ” થીમ આધારિત હતો જેમાં કાર્યક્રમમાં મંચ ઉપર બિરાજમાન સાંસદ ધારાસભ્ય તેમજ વન વિભાગના અધિકારીઓ માટે પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલો મુકાઈ જેથી ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે સાંસદ મનસુખભાઇ વસાવાને પૂછતા તેઓએ આ બાબતે ધ્યાન દોરિશ તેમ જણાવ્યું






