
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં તહેવારો દરમિયાન લાભાર્થી રેશનકાર્ડધારકોને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ તહેવારનો જથ્થો મળી રહે તે હેતુસર તહેવારોની રજાઓ દરમિયાન પણ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો ચાલુ રાખી સંચાલકો દ્વારા સીંગતેલ તથા ખાંડના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જણાવ્યું છે.
રાજ્ય સરકારે કોઈપણ ગરીબ BPL- અંત્યોદય તેમજ NFSA રેશનકાર્ડ ધારક પવિત્ર શ્રાવણ માસના સાતમ-આઠમના તહેવારો સારી રીતે સહપરિવાર સહિત ઉજવી શકે અને આવશ્યક રેશનજથ્થાથી વંચિત ન રહે તેની સતત દેખરેખ રાખી છે. જે માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી દ્વારા સતત સમીક્ષા હાથ ધરી આ બાબતે લોકો ઉત્સાહભેર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યની ૧૭,૦૦૦ જેટલી દુકાનો દ્વારા લાભાર્થીઓ સુધી જથ્થો પહોંચે તે માટે રાજ્યનો પુરવઠા વિભાગ, જિલ્લાની પુરવઠા કચેરીઓ, નિગમના ગોડાઉન દુકાનદારો, ડિલિવરી ટ્રાન્સપોર્ટરો સહિતનું પુરવઠા તંત્ર સતત ધમધમતું રહ્યું છે. રાજ્યના સાડા ત્રણ કરોડથી વધુ લોકોને દર મહિને સમયસર જથ્થો મળી રહે તે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ દુકાનદારોની પોષણ ક્ષમતા વધે તે માટે 300થી ઓછા કાર્ડધારક દુકાનદારો માટે રૂ.20,000ના વળતરમાં ખૂટતી રકમ સહિત ચણાના કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ રૂપિયા જેટલો વધારો કરી દુકાનદારોનાને હિતમાં નિર્ણય લીધો છે.








