
નર્મદા જિલ્લામાં મનરેગાના કામો અધિકારીઓના મળતિયાઓને સોંપતા હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ
મળતીયાઓની એજન્સીઓના ટેન્ડર ન લાગતા ખોટી રીતે ટેન્ડર રદ કરી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી : સાંસદ મનસુખ વસાવા
રાજપીપલા: જુનેદ ખત્રી
ભરૂચ લોકસભાના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે હંમેશા અવાજ ઉઠાવતા આવ્યા છે તેઓ પોતાની સરકાર સામે બોલતા પણ ગભરાતા નથી સાંસદ મનસુખભાઈ વસાવા એ નર્મદા જિલ્લામાં ચાલતા મનરેગા કામો ના ટેન્ડરિંગમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથેની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જેનાથી સરકારી બાબુઓમાં ફાફડાટ ફેલાયો છે
સાંસદ મનસુખ ભાઈ વસાવાએ પોતાના ફેસબુક પેજ ઉપર કરેલ પોસ્ટ મુજબ તેઓ જણાવે છે કે નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ ૨૦૨૩ ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદનું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવેલ અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓ એ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા. પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓના મળતીયાઓની એજન્સીઓના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવ્યા અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓ ને અનુકૂળ, ગાઈડલાઈન માં સુધારો કર્યો. હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો એ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે તેમ પણ સંસદે જણાવ્યું છે
ઉપરાંત આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકાર ના ઉચ્ચ અધિકારીઓ ને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, DRD નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેઓએ ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓ ની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ. તેમ પણ ચીમકી ઉચ્ચારી છે
બોક્ષ
સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરાયેલ આક્ષેપ ખુબજ ગંભીર છે તો આ બાબતે તપાસ થશે ખરી ?? શું ખરેખર સરકારી બાબુઓ મળતીયાઓના ટેન્ડર પાસ થાય તેવી કોશિશ કરી રહ્યા છે ?? મનરેગા ના કામો થયા છે તેમાં ગુણવત્તા જળવાઈ છે ખરી ? જેવા પ્રશ્નો હાલ ચર્ચાનો વિષય બન્યા છે તટસ્થ તપાસ બાદ જ આ સવાલોના ઉત્તર મળી શકશે






