
નર્મદા : નાંદોદ ખાતે નવનિર્મિત હજરપુરા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
નાંદોદ ખાતે ઓ.એન.જી.સી. અંકલેશ્વર, મેટ્રો ફાઉન્ડેશન અને જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત હજરપુરા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના ઉપસરપંચ નિકુંજભાઈ પટેલ અને નાંદોદ ઘટકના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મૌસમબેન પટેલ અને તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ રાણાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
૦ થી ૬ વર્ષનો સમય બાળકોમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક તથા ભાષાકીય કૌશલ્યોનો વિકાસ કરાવા અતિમહત્વપૂર્ણ હોય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાઓને અવનવી ઇન્ફોટેઇન્મેન્ટ એટલે કે માહિતી સાથે મનોરંજક પ્રવૃત્તિ કરાવીને બાળકોના માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ અને સરાહનીય કામગીરી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકરો દ્વારા વાર્તાલાપ, વાર્તા, નાટક, ગીત, સંગીત, રમતો, ચિત્ર, નિરીક્ષણવૃત્તિ થકી બાળકોમાં સંસ્કાર સદગુણોનું સિંચન કરવામાં આવે છે, જેથી બાળકોમાં જીવનના પાયાના ઘડતર સાથે સમાજ અને નવા ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે.






