
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આદિજાતિ વિસ્તારનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજય સરકારની સાથે સાથે અનેક સેવાભાવી ટ્રસ્ટીઓ અનેક પ્રયાસો કરી રહયા છે. ત્યારે આદિવાસી વિસ્તારના બાળકો પણ વિશ્વમાં નામના મેળવે તેવા સંકલ્પ સાથે જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી માધ્યમિક કેળવણી મંડળ સાદડવેલ, ચીખલી ખાતે નવનિર્મિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્દધાટન આદિજાતિ અને શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરએ દ્વારા કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે નવનિર્મિત થયેલા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં બાળકોને રહેવા જમવાની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આ હોસ્ટેલમાં દક્ષિણ ગુજરાતના આદિજાતિ સમાજના તથા આર્થિક રીતે નબળા પરિવારના ૨૦૦ થી વધુ બાળકો અહીં રહીને અભ્યાસ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરએ ઉદબોધન કરતાં જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં આગળ વધવુ હોય તો પાયાની જરૂરીયાત શિક્ષણ છે. મંત્રીશ્રીએ જેમસન ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવીને જણાવ્યું હતું કે, ટ્રસ્ટની સેવા થકી આદિવાસી સમાજના દિકરા-દિકરી ભણીગણીને રાજયનું નામ રોશન કરે તે માટે સૌના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. ચીખલી તાલુકામાં ટ્રસ્ટએ આદિજાતિ બળકો માટે શાળામાં જ રહીને બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધાઓ ઊભી કરી છે.
વધુમાં નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે. સાથે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરૂદેવો ભવની પ્રણાલી પણ નવી શિક્ષણ નીતિમાં છે. યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ ભારત મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતને પુનઃ દિવ્ય બનાવવાનું કામ શિક્ષકોનું છે. બાળકોના ઉત્થાન માટે સવિશેષ કામગીરી માટે જેમસેન ચેરીટેબલ ટ્રસ્ટ આગળ આવીને સેવાનું કાર્ય કરી રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત સંકલ્પને આવા જનભાગીદારી થકી જ સિદ્ધ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ વેળાએ ટ્રસ્ટના સંચાલક રમેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ગરીબ આદિવાસી બાળકોને સુખ સુવિધાઓવાળુ શિક્ષણ મેળવી શકે તે હેતુથી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી તેઓ સારૂ શિક્ષણ પણ મેળવી શકશે અને પૂરતો અમય પણ ફાળવી શકશે. આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસની યાત્રામાં સૌ કોઈ જોડાય તેવો સંકલ્પ તેમણે વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલએ જેમસન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા આદિવાસી વિસ્તારમાં કરેલા સેવાકીય પ્રવૃતિ બિરદાવી હતી અને અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે, તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ, જેમસન ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારજનો, શ્રી માધ્યમિક કેળવણી મંડળ સાદડવેલ શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.