
તા.૧૨/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ડ્રોન પ્રદર્શન યોજાયું, સ્થાનિક રમતવીરો અને કલાકારોને સન્માનિત કરાયા
Rajkot: વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ તા. ૧૧ જાન્યુઆરીના રોજ રાજકોટ તાલુકાના ભૂપગઢ અને ગોલીડા ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા આવી પહોંચતા લોકો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું સાથે વિવિધ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, પી.એમ.ઉજજવલા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો,જેનો ૫૦૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો. શિબિરમાં સામાન્ય આરોગ્ય તપાસ સાથે જ સિકલ સેલ એનિમિયા તેમજ ટી.બી.સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી શ્રી અલ્પેશ સોજીત્રા તથા ડાયાભાઈ રાઠોડએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ ડ્રોન પ્રદર્શન, સોઈલ હેલ્ડ કાર્ડ અંગે તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો હતો.
મહત્વનું છે કે, આ બંને ગામોમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. તદુપરાંત ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમત ની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી પરષોતમભાઈ મેવાસીયા, કારોબારી સભ્યશ્રી ભરત ડાભી, ભૂપગઢના સરપંચશ્રી લીલાબેન રાઠોડ, સભ્યશ્રીઓ બાબુભાઈ રાઠોડ, કૈલાશબેન ગોહેલ ,પ્રાથમિક શાળા ભૂપગઢના આચાર્યશ્રી રાજેશ્વરીબેન આહીર તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.