

સાબરકાંઠા જિલ્લામાં “ગ્રામ સ્વાગત” અંતર્ગત ૨૫૪ અરજીઓ મળી
*************
“સ્વાગત” થકી રાજ્યના ગ્રામિણ વિસ્તારોના લોકપ્રશ્નોનું થાય છે હકારાત્મક નિરાકરણ *******************
રાજ્યના ગામડાઓમાં વસતા છેવાડાના માનવીને ઘરે બેઠા તેમના પ્રશ્નો રજૂ કરી શકે અને ઘરે બેઠા તેમના પ્રશ્નોનો ઉકેલ મળી શકે તે માટેવ ફેબ્રુઆરી-૨૦૧૧ થી “ગ્રામ સ્વાગત”ની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં “ગ્રામ સ્વાગત” અંતર્ગત ૨૫૪ અરજીઓ મળી છે.
રાજ્ય સરકાર લોકોની મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ માટે “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરી રહ્યું છે. લોકોની સુખાકારી અને લોક પ્રશ્નોના નિરાકરણ માટે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૩માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને વર્ષ ૨૦૨૩ના એપ્રિલ માસમાં સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારના છેલ્લા ૨૦ વર્ષથી લોકાભિમુખ વહીવટને ચરિતાર્થ કરતા “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ ગામના તલાટી કે મંત્રીશ્રીને સંબોધીને દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમની રજૂઆત આપવાની રહે છે. ૧૦ તારીખ બાદ મળેલ રજૂઆતો બીજા મહિનાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોકલવાની હોય છે. જેના આધારે યુનિક આઈ.ડી નાગરિકને મળે છે. તલાટી કે મંત્રી તેમને મળેલી રજૂઆતો તાલુકા મામલતદારને પહોંચાડે છે. મામલતદાર ઉકેલ કરવા પાત્ર રજૂઆતોનો જે તે મહિનાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવીશ કરીને સંબંધીતોને જાણ કરે છે. ત્યારબાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેનો ઉકેલ લાવવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લામાં “ગ્રામ સ્વાગત” અંતર્ગત હિંમતનગરમાં ૩૮, વડાલી શૂન્ય, ઇડરમાં ૮૩, વિજયનગરમાં ૧૫, પ્રાંતિજમાં ૫૦, ખેડબ્રહ્મામાં ૧૨, તલોદમાં ૪૬ અને પોશીનામાં ૧૦ એમ કુલ ૨૫૪ અરજીઓ મળી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



