વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ
મહીસાગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદોનું સી-વિજિલ દ્વારા મિનિટોમાં જ નિવારણ
– ફરિયાદો નોંધાવવા માટે ૨૪ કલાક ચાલતો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૭૯૧ અને ૦૨૬૭૪-૨૫૦૦૨૫
– સી-વિજિલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ થઈ શકે છે : ૧૦૦ મિનિટમાં જ આવે છે ઉકેલ
દેશભરમાં આયોજિત થનાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. જેને અનુસંધાને લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ, મહીસાગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ થઈ રહ્યો છે. આ સાથે આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે, જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના મુજબ, કલેક્ટર કચેરી ખાતે સી-વિજિલ (સિટિઝન વિજિલન્સ) ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૭૯૧ અને ૦૨૬૭૪-૨૫૦૦૨૫ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજિલ મોબાઈલ એપ પણ ચાલુ કરી દેવામાં આવી છે. આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ આ ફરિયાદનું માત્ર ગણતરીમી મિનિટોમાં જ નિરાકરણ કરવામાં આવે છે.
આ ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ એપ ૨૪ કલાક ચાલુ રહે છે અને કોઈ પણ નાગરિક ૨૪ કલાકમાં ગમે ત્યારે આચારસંહિતા ભંગને લગતા કોઈ પણ કિસ્સાની ફરિયાદો તેના પર નોંધાવી શકે છે. આ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં કાર્યરત સી-વિજિલ કંટ્રોલરૂમમાં વિવિધ સ્ટાફ ત્રણ પાળીમાં ૨૪ કલાક ફરજ બજાવે છે..
૧૬મી માર્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી ત્યારથી જ સી-વિજિલ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં શરૂ કરાયેલા ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધીમાં ૭ ફરિયાદો આવી છે અને એ તમામ પર ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી કરીને ઉકેલ લાવવામાં આવ્યો છે.
નાગરિકો આચારસંહિતા ભંગની ફરિયાદ સી-વિજિલ મોબાઈલ એપ પર પણ નોંધાવી શકે છે. આ ફરિયાદ ફોટો, વીડિયો કે ઓડિયો એમ કોઈ પણ સ્વરૂપે નોંધાવી શકાય છે. કુલ મળીને ચાર તબક્કામાં ફરિયાદનું નિવારણ થાય છે. (૧) જ્યારે વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે સોફ્ટવેરમાં તેનું લોકેશન ડિટેક્ટ થાય છે અને આ ફરિયાદની નોંધ થાય છે. (૨) આ લોકેશન તેમજ ફરિયાદની વિગતો પાંચ જ મિનિટમાં ફ્લાઈંગ સ્ક્વોડને મોકલી દેવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ ૧૫ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને બેનર વગેરે દૂર કરવાની કે જરૂરી એક્શન લે છે. (૩) એ પછી ૩૦ જ મિનિટમાં ફરિયાદ નિવારણનો રિપોર્ટ રિટર્નિંગ ઓફિસર કે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે. (૪) રિટર્નિંગ ઓફિસર કે આસિ. રિટર્નિંગ ઓફિસર ૫૦ મિનિટમાં આ ફરિયાદ ક્લોઝ કરે છે.
મહીસાગર જિલ્લામાં સી-વિજિલના ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધીમાં ૭ ફરિયાદો આવી છે, જેનું તત્કાલ નિવારણ કરી દેવામાં આવ્યું છે.









