તા.૨૬/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના ઈ શ્રમ કાર્ડ ધરાવતા કામદારો શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ માટે રાજકોટ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત ઝોનલ કચેરીનો તથા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી નો સંપર્ક કરવાનો રહેશે. ઇ-શ્રમકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩માં અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવા માટે ઇ- શ્રમકાર્ડ સાથે રાશનકાર્ડ નંબર લીંક કરવા જરૂરી છે. જેથી જે ઈ શ્રમ કાર્ડ ધારકે ઈ શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશનકાર્ડ નંબર આપેલ નથી તેઓએ તાત્કાલિક પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રાશનકાર્ડ તથા ઈ શ્રમ કાર્ડ સાથે સંપર્ક કરવાનો રહેશે. ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/ શ્રમિકો પૈકી જે કાર્ડધારકો પાસે બારકોડ રાશનકાર્ડ ન હોય તેઓને ફોર્મ નંબર બે સાથે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાથી નવા રાશન કાર્ડ આપવામાં આવશે આ બાબતે વધુ માહિતી જિલ્લા પુરવઠા કચેરી કલેકટર કચેરી બીજો માળ શ્રોફ રોડ રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૯૧ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની રાજેશ્રીબેન વંગવાણીની યાદીમાં જણાવાયું છે.








