વાત્સલ્યમ સમાચાર
એકતા નગર
રિપોર્ટ – અનીશ ખાન બલુચી
જીવાદોરી સમા સરોવર નર્મદા ડેમ ઉપર ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી – નર્મદા નિગમના સંયુકત વહિવટી સંચાલક્શ્રી ઉદિત અગ્રવાલના હસ્તે થયુ ધ્વજવંદન.
– દેશના રાજ્યોમાં સૌથી ઉંચે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર ફરકતો રાષ્ટ્રધ્વજ.
રાષ્ટ્રના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેશના રાજ્યોમાં સૌથી ઉંચે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમના સંયુકત વહિવટી સંચાલક્શ્રી ઉદિત અગ્રવાલે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ તકે નર્મદા ડેમના ઇન્ચાર્જ મુખ્ય ઇજનેર શ્રી જે.કે.ગરાસીયા,કાર્યપાલક ઇજનેર શ્રી એમ.બી.વસાવા અને શ્રી રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ આપણો રાષ્ટ્રધ્વજ આજે આન,બાન અને શાનથી લહેરાઇ રહ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત સરદાર સરોવર નર્મદા ડેમના કર્મયોગીઓને સંબોધતા સંયુકત વહિવટી સંચાલક્શ્રી ઉદિત અગ્રવાલે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી નર્મદા ડેમના નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર સૌ કોઇ પ્રત્યે રાજય સરકાર વતી આભારની લાગણી વ્યકત કરી હતી.તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ દ્વારા પિવાના અને ખેતી તેમજ ઉદ્યોગોને પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થાય અને પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સૌ કોઇને કાર્યરત રહેવાની હિમાયત કરી સૌની સારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યકત કરી હતી.