નવસારી તાલુકાકક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મારી માટી મારો દેશ માટીને નમન,વીરોને વંદન દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન કાર્યક્રમ આજરોજ નવસારી તાલુકાકક્ષાનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાના અધ્યક્ષતામાં ગણેશ સિસોદ્રા ખાતે રામજી મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો.
ભારતભરમાં ૯મી ઓગસ્ટ થી મારી માટી, મારો દેશ અભિયાન ચાલી રહ્યું છે. નવસારીમાં ગ્રામ પંચાયતો બાદ હવે તાલુકા કક્ષાએ વિધિવત રીતે મારી માટી મારી દેશ મહા અભિયાન ઉજવાઈ રહ્યું છે. ગણેશ સિસોદ્રા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાની ઉપસ્થિતિમાં નવસારી તાલુકા કક્ષાનો ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ગામેગામથી આવેલ તલાટીશ્રી/સરપંચશ્રી તેમજ આગેવાનો દ્વારા કળશયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકાના શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રશસ્તિપત્ર અર્પણ તેમજ નવસારી તાલુકાના શહીદો- સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું “વીરો કા વંદન” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર દરેકે હાથમાં દીવા-માટી લઇને પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી અમૃત વાટિકા ગ્રામજનો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ સેવક તેમજ તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ/અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, સરપંચશ્રીઓ/ તલાટીશ્રીઓ, હોમગાર્ડ, પોલીસના જવાનો, બાળકો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.





