
ચૈતર વસાવાને જામીન નહિ મળે તો પાર્ટી તેમના નામે ભરૂચ લોકસભા ચૂંટણી લડશે: કેજરીવાલ
ભાજપને જનતા ગુજરાતમાંથી ઉખાડી ફેંકશે : કેજરીવાલ
આદિવાસી સમાજ ચૈતર વસાવા માટે લડશે અને જેના માટે પ્રજા લડે તેને કોઈ નથી હરાવી શકતું : ભગવંત માન
રાજપીપલા : જુનેદ ખત્રી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ગઈકાલે તેમણે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે સભા કરી હતી અને ચૈતર વસાવાનું નામ ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે ચૈતર વસાવાને ખોટા કેસમાં ગિરફતાર કર્યા છે. જેના કારણે આજે સમગ્ર આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે ચૈતર વસાવાની સાથે તેમની પત્નીને પણ ગિરફતાર કરવામાં આવ્યા છે. શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે, એટલા માટે આજે સમગ્ર આદિવાસી સમાજ ગુસ્સામાં છે. ગઈકાલે અમે એક ખૂબ જ મોટી સભા કરી હતી, તેમાં હજારો લોકો આવ્યા હતા અને લોકોએ પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.
હાલ અમે ચૈતરભાઈ અને શકુંતલાબેન બંનેને જેલમાં મળીને આવ્યા છીએ. બંને ઠીક છે, સ્વસ્થ છે અને બંનેના હોસલા બુલંદ છે, તેઓ લડત આપતા રહેશે અને સંઘર્ષ કરતા રહેશે. ગુજરાતમાં ભાજપને ઉખાડીને ફેંકવાનું કામ કરવાનું છે અને ગુજરાતની જનતા ભાજપને ઉખાડીને ફેંકવાનું કામ કરશે. કારણકે હવે આમની તાનાશાહીની હદ વટી ગઈ છે. હાલ આ લોકો મરજી થાય તેને જેલમાં નાખી દે છે. ચૈતર વસાવાની ભૂલ શું હતી? તેઓ ફક્ત આદિવાસી લોકો માટે લડી રહ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી FIR કરવામાં આવે છે અને ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવે છે, આવા સમયે પર ચૈતર વસાવા લોકો માટે અવાજ ઉઠાવે છે અને એમના માટે લડત લડે છે.

ગઈકાલે અમે એલાન કર્યું હતું કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. અમારી પૂરી કોશિશ છે કે ચૈતરભાઈ વસાવા અને તેમના પત્નીને સુપ્રીમ કોર્ટ તરફથી જમાનત મળે. અને જો તેમને જમાનત નથી મળતી તો આમ આદમી પાર્ટી તેમના માટે ચૂંટણી લડવાનું કામ કરશે
લોકસભાની ચૂંટણી ના લડે એટલે ભાજપે ચૈતર વસાવાને જેલમાં બંધ કર્યા : વર્ષાબેન વસાવા ( ચૈતર વસાવાના બીજા પત્ની)
ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત કર્યા બાદ તેમના પત્ની વર્ષા બેન વસાવાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી ના લડે એટલે ભાજપે ચૈતર વસાવાને જેલમાં બંધ કર્યા નેત્રંગ સભામાં ઉમટેલા લોક જુવાળ બાદ ધારાસભ્યએ દરેક સમર્થકો નો આભાર વ્યક્ત કરી લોકસભા જીતાડવા સંદેશ મોકલ્યો છે









