
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ, મંગળવાર:
આગામી ૧૦ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાના અંદાજે ૧ લાખથી વધારે આવાસનો ઈ-લોકાર્પણ અને ખાતમૂર્હુત કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના સમાંતરે કચ્છ જિલ્લામાં ૦૬ સ્થળે આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેવામાં આવશે. અંદાજે ૧૪૦૦થી વધારે આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કચ્છ જિલ્લામાં પદાધિકારીઓના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં થશે.
કચ્છ જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કચ્છ જિલ્લામાં આયોજિત તમામ કાર્યક્રમનું આયોજન સુચારુરૂપે થાય તે દિશામાં કામગીરી કરવા જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું. આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી, ઈ-લોકાર્પણ, કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની આનુષંગિક બાબતો અંગે સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.







