
શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં ચાર વર્ષથી વધારે સમય નોકરી કરનાર શિક્ષકશ્રી રાજેશભાઈ જોશી તથા બે વર્ષથી વધારે સમય નોકરી કરનાર શિક્ષકશ્રી ભરતભાઈ સોલંકીનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લુણસાપુર પે સેન્ટરના આચાર્યશ્રી અશ્વિનભાઈ બાંભણિયા સહિત પે સેન્ટરની તમામ શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એસએમસીના અધ્યક્ષ રવજીભાઈ જાદવ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી દેવાતભાઈ તથા ઉપસરપંચશ્રી ભરતભાઈ શિયાળ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, મહેમાન શ્રીઓને કુમકુમ તિલકથી અને પુષ્પગુચ્છથી સ્વાગત દ્વારા થયું હતું. આ કાર્યક્રમમાં વિદાય લેતા બંને શિક્ષક મિત્રોને શાળા દ્વારા સાકરનો પડો, શ્રીફળ અને શાલ સહિત પ્રમાણપત્ર અને યાદગીરી રૂપ ભેટ આપવામાં આવી હતી. આ સાથે જ બંને શિક્ષક મિત્રોનું ગ્રામ પંચાયત દ્વારા પણ પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા વિદાય ગીતો તથા અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી કિશનભાઇ ડોડીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. પર્વને અનુરૂપ વાતો જયેશભાઈ જોશી, દિનેશભાઈ રાઠોડ તથા અશ્વિનભાઈ બાંભણિયાએ કરી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ભરતભાઈ શિયાળ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બાળકો દ્વારા નાની નાની રકમ એકઠી કરીને શિક્ષકો માટે લેવાયેલ ભેટ હતી.વિદાય લેતા શિક્ષક મિત્રોની વિદાયની વાતોએ વાતાવરણને કરુણ બનાવ્યું હતું. વિદાયની આ વેળાને હળવી કરવા કાર્યક્રમના અંતે પધારેલ ક્લસ્ટર પરિવારના શિક્ષક મિત્રો તથા શાળાના બાળકોએ સ્વાદિષ્ટ ભોજન સાથે લીધું હતું.
રિપોર્ટ..ભૂપત સાંખટ
જાફરાબાદ
અમરેલી










