પીએસઆઇની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક ક્રોસ વેરીફિકેશન કરવાનો સરકારે નિર્ણય લીધો

કરાઇ પોલીસ તાલીમ અકાડમીમાં બોગસ પીએસઆઇનું કૌભાંડ બહાર આવતા ગુરૂવારે ડીજીપી વિકાસ સહાયે ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી અને વર્ષ ૨૦૨૧માં લેવામાં આવેલી પીએસઆઇની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક ક્રોસ વેરીફિકેશન કરવાનો નિર્ણય લીધો છે. સાથેસાથે નકલી પીએસઆઇ મયુર તડવીની તપાસનો રિપોર્ટ પણ તૈયાર થયા બાદ સોંપવા માટે સુચના આપવામાં આવી છે.
કરાઇ પોલીસ તાલીમ અકાડમીમાં બોગસ કોલ લેટરને આધારે તાલીમ લેવા આવેલા પીએસઆઇ મયુર તડવીનો કેસ બહાર આવતા હવે રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. જે અનુસંધાનમાં રાજ્ય પોલીસ વડા અને પોલીસ તાલીમ વિભાગ ડીજીપી વિકાસ સહાયે કરાઇ એકાડમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં મયુર તડવી અંગે તમામ વિગતે ચર્ચા કરવાની સાથે હાલ પીએસઆઇ તરીકે તાલીમ લઇ રહેલા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક પધ્ધતિથી ક્રોસ વેરીફિકેશન કરવા માટે સુચના આપી છે. સાથે સાથે આ ક્રોસ વેરીફીકેશનનો રિપોર્ટ પણ સોંપવા માટે તાકીદ કરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ હવે આગામી તમામ ભરતીઓમાં બાયોમેટ્રીક્સ પધ્ધતિથી ક્રોસ વેરીફીકેશન ફરજિયાત બનાવવા માટેની સત્તાવાર જાહેરાત પણ આગામી દિવસોમાં કરવાની શક્યતા છે.