
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા – ૨૨ : હાલમાં થોડા દિવસ ભુજ આવવા જવા માટે રુદ્રમાતા પુલ બંધ હોતા પાવરપટ્ટી વિસ્તારના લોકો પોતાના વાહનોનો નિરોણા થી કોડકી થઈ ભુજ માટે ઉપયોગ કરતા અને વળી નિરોણા ગામ પંચ કલાઓનુ ધામ હોવાથી અને કડીયા ધ્રો નો પ્રવાસન તરીકે વિકાસ થયેલ હોવાથી પ્રવાસીઓનો પ્રવાહ પણ ભુજથી કડિયા ધ્રો, મેડીસર થઈ નિરોણા સુધી આવે છે. જેમા મેડીસરથી કડિયા ધ્રો વચ્ચેના માર્ગ પર પુલ બનેલ નથી અને નિચાણવાળા વિસ્તારમાં પાપડી એકદમ ધોવાઇ ગયેલ હાલતમાં છે. જેમાં એક થી દોઢ ફૂટ જેટલુ કાયમ પાણી ભરાયેલ હોવાના કારણે પાપડીમાં રહેલ મોટા ખાડાઓ દેખાતા નથી જેથી અકસ્માત તેમજ વાહન નુકસાનીની મોટી ભીતી રહેલ છે અને વળી મોટા ખાડાઓના લીધે અડધો ભાગ બંધ કરી દેવામાં આવેલ હોવાથી બે વાહનો પણ પસાર થઈ શકતા નથી, જેથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને માટે આ પાપડી માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. અવાર નવાર દ્વી ચક્રી વાહનોના આ પાપડી પર પાણીમાં ન દેખાતા ખાડાઓને કારણે પડી જવાના અને ચાર ચક્રી નાના વાહનો પણ ખાડામાં ફસાઇ ગયાના દાખલાઓ બનવા પામ્યા છે. વધુ કોઈ મોટો અકસ્માત ન થાય એ પહેલા તંત્ર જાગે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓની લાગણી તેમજ માંગણીને ધ્યાને લઈ વહેલામાં વહેલી તકે પાપડીની મરંમત થાય એ ઇચ્છનીય છે.










