તા.૧૧/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મેજર બર્ન્સ-ટ્રોમાના દર્દીઓ તથા બાયોલોજીકલ ડ્રેસીંગ માટે સ્કિન ડોનેશન ઉપયોગી
Rajkot: દાનની ભાવના ભારતીય પરંપરા સાથે જોડાયેલી છે. રક્તદાનની સાથેસાથે હવે અંગદાન, દેહદાન અને ત્વચાદાન અંગે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તેથી, આ બાબતે સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની સરકારી હોસ્પિટલને વધુ એક ત્વચાદાન મળ્યું છે, જે પ્રશંસનીય છે.
ગત તા. ૯ જૂનના રોજ સ્વ. સુરાભાઈ વાજાભાઈ રબારી નિધન પામ્યા હતા. રબારી પરિવાર દ્વારા સદગતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમણે કરેલા સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે. તેમજ ટ્રોમાના દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ ઉપયોગ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડાશ્રી ડો. મોનાલી માકડીયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રત્યનશીલ છે, તેમ તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.