પાવાગઢ ખાતે વેકેશન પૂર્ણ થવાના અંતિમ રવિવારે પોણો લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૬.૨૦૨૪
સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે વેકેશન પૂર્ણ થવાના અંતિમ રવિવારના રોજ પોણો લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.ભક્તો માતાજીના દર્શનનો લાહવો લઇ ધન્યતા અનુભવતા હતા.જોકે ચાલુ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન ગરમીનો પ્રકોપ વધી જતા રજાના દિવસો દરમિયાન પણ ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.વેકેશનના અંતિમ રવિવારના રોજ ભક્તોની વિશેષ હાજરીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા નીજ મંદિરના દ્વાર વહેલી સવારે પાંચ કલાકે ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.ગરમીના ભારે પ્રકોપને ધ્યાનમાં લઈ ભક્તો શનિવાર મધ્ય રાત્રેથી જ પાવાગઢ ડુંગર ખાતે પહોંચી ચૂક્યા હતા જ્યારે વહેલી સવારે નીજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસર ખાતે હાજર માઇ ભક્તોએ જય માતાજીના ભારે જય ઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતુ.જ્યારે ભક્તોએ શિસ્ત બદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઈને પાવાગઢ પોલીસ દ્વારા તળેટીથી માંચી તેમજ મંદિર ડુંગર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે જિલ્લા સમાહર્તાના ખાનગી વાહનો ડુંગર પર લઈ જવાના પ્રતિબંધન ના જાહેરનામાના પગલે ખાનગી વાહનો લઈને આવેલા ભક્તોને તળેટી ખાતે વાહનો પાર્ક કરીને એસ.ટી બસ મારફતે ડુંગર પર જવા દેવામાં આવતા હતા.જ્યારે ચૈત્રી નવરાત્રી બાદ પૂનમના દર્શનને લઈને એસટી દ્વારા સોમવાર મધ્યરાત્રી ૧૨.૦૦ વાગ્યા થી મંગળવાર બપોરે ૫.૦૦ વાગ્યા સુધી એસ.ટી. નિગમ દ્વારા તળેટી થી માંચી સુધી ૪૦, બસ અપ એન્ડ ડાઉન કરાતા ૫૪૨, ઉપરાંત ટ્રીપ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.જેના દ્વારા ૩૧૯૨૧, મુસાફરોને મુસાફરી કરાવવામાં આવી હતી. જેનાથી એસ.ટી નિગમને રૂપિયા ૬.૫૮ લાખ ઉપરાંત ની આ આવક થઈ હતી.










