
ભુજ, રવિવારઃ
ભારતના ચૂંટણી પંચ તરફથી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ સંદર્ભે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, ભારતના ચૂંટણી પંચ તરફથી વિધાનસભા મત વિભાગોની ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણીની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ, સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. આ લાઉડ સ્પીકરનો ઉપયોગ ફકત નિયત મંચ ઉપરાંત ટ્રક, ટેમ્પો, કાર, જીપ, ટેક્ષી, વાન, ત્રણ પૈડા વાળા વાહનો, સ્કુટરો, રિક્ષા, બળદગાડી, ઉંટગાડા વગેરે વાહનો ઉપર ગોઠવીને પણ કરવામાં આવે છે. ખૂબ જ ઊંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના આ વાહનો તમામ માર્ગો, શેરીઓ અને ગલીઓમાં ફરે છે. પરિણામે ધ્વની પ્રદુષણ થાય છે. આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે આથી ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર નિયંત્રણો જાહેર કરાયાં છે.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧) મુજબ રાજકીય પક્ષો, ઉમેદવારો, રાજકીય કાર્યકરો, સમર્થકો એ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરવાં. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતાં પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતાં વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પાસેથી તે અર્થે પરવાનગી મેળવેલ વાહનોને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો તા.૩૦/૦૩/૨૦૨૪ સુધી અમલ કરવાનો રહેશે. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઇ વ્યકિત દ્વારા આ નિયમોનું ભંગ કરનારને ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ (ઝ) મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.