કેશોદ શહેરમાં વાસાવાડી પ્લોટમાં આવેલાં રામદેવપીરનાં મંદિરનાં પટાંગણમાં ૪૯ મો ભવ્ય લોકમેળો અને મંડપ યોજાયો હતો. સૌરાષ્ટ્ર ની સંસ્કૃતિ ભજન ભોજન અને ભક્તિ પર ટકી છે ત્યારે કેશોદ ખાતે યોજાયેલા રામદેવ પીર નાં મંડપ લોકમેળા માં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળતો હતો. ભાદરવા સુદ અગિયારસનાં દિવસે દર વર્ષે રામદેવપીરનો મંડપ યોજાતો હોય છે. ભાવિકો ભક્તો કાગડોળે રાહ જોતાં હોય છે. કેશોદના વાસાવાડી પ્લોટમાં યોજાયેલા લોકમેળા માં નાનાં નાનાં બાળકોને માટે રમકડાં, ખાણીપીણી નાં સ્ટોલ ઉપરાંત સામાન્ય ઘરવપરાશ ની વસ્તુઓનાં સ્ટોલ પર ભીડ જોવા મળી હતી.શ્રી રામદેવપીર નાં મંડપ પ્રસંગે ભાવિકો ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ પંથકનું પ્રસિદ્ધ કિર્તન મંડળ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને મહેમાનો એ ઉદારતાથી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. કેશોદ શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતાં રામદેવ પીર નાં મંડપમાં લોકો ખુબ જ શ્રધ્ધા અને આસ્થા ધરાવે છે અને શ્રધ્ધાપુર્વક પ્રાર્થના કરી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. કેશોદના વાસાવાડી પ્લોટ વિસ્તાર અને ધાર વિસ્તારના પરિવારો રામદેવ પીર નાં મંડપ લોકમેળા માટે સાસરે ગયેલી દિકરીઓ ને ખાસ આમંત્રણ આપી તેડાવે છે. વહેલી સવારે શુભ મુહૂર્તમાં મંડપ ખડો કરવામાં આવતાં જ જય રામદેવપીર નાં નાદ સાથે અબીલ ગુલાલની છોળો ઉડાડતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.વહેલી સવારથી ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મેઘરાજાએ વિરામ લીધાં બાદ ફરીથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતો પશુપાલકો માં ખુશી નજરે પડતી હતી અને મોડી રાત સુધી કેશોદના શહેરીજનો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવ પીરનો મંડપ ખડો કરવામાં આવતાં જ ભાવિકો ભક્તો અબીલ ગુલાલ ની છોળો વચ્ચે ઝુમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેશોદના વાસાવાડી પ્લોટ વિસ્તારમાં આવેલા રામદેવ પીર નાં મંદિરે યોજાયેલા મંડપ લોકમેળા ને આયોજનબધ્ધ વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટીઓ હોદેદારો તેમજ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કરી હતી. કેશોદ પોલીસ વિભાગ નાં ડીવાયએસપી બી સી ઠક્કર કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી પોલીસ સબ ઇન્સ્પેકટર પી કે ગઢવી પોલીસ સબ ઇન્સ્પેકટર ડી એચ વાળા ની રાહબરી હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રીજ નું કામ ચાલુ હોય ત્યારે વાસાવાડી પ્લોટ વિસ્તારમાં આવવા જવા માટે ટ્રાફિક જામ ન થાય તે માટે ખાસ કર્મચારીઓ ફાળવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










