AHAVA

ડાંગ:આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૯મી ઓગષ્ટથી “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ થશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ માધ્યમથી ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ સહિત જિલ્લાના વરીષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત ડાંગ જિલ્લામાં “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. ૦૯ ઓગષ્ટથી આરંભ થશે, જે “માટીને નમન, વીરોને વંદન” થીમ પર રાજયભરમાં યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આ માટે ગ્રામ કક્ષાથી લઈને કર્તવ્ય પથ નવી દિલ્હી સુઘી કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર રાજયમાં થાય તેવા ઉમદા આશયથી આજરોજ રાજયના મુખ્ય સચિવશ્રી રાજકુમારના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ વડાશ્રી રવિરાજસિંહ જાડેજા, દક્ષિણ ડાંગ નાયબ વનસંરક્ષકશ્રી રવિ પ્રસાદ, સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જોડાયા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લામાં યોજાનાર “મારી માટી – મારો દેશ” કાર્યક્રમનો આરંભ તા. ૦૯મી ઓગષ્ટ, ૨૦૨૩ના રોજથી ગ્રામ્ય સ્તરથી આરંભ કરવામાં આવશે. જેમાં વઘુને વઘુ લોકો સહભાગી બને તે માટેનો ઉમદા ભાવ રાખવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તરેથી જે તે ગામની માટી લઇ કળશમાં મુકવામાં આવશે. તેની સાથે શિલાફલકમ પણ બનાવવામાં આવશે. આ શિલાફલકમમાં આઝાદી સમયમાં બિલદાન આપનાર ગામના શહીદ વીરો સાથે સાથે દેશ માટે પોતાનો જીવ આપનારા લશ્કર કે પોલીસના જવાનોના નામ લખવામાં આવશે. શિલાફલકમને અમૃત સરોવર, જળાશય કે શાળા-કોલેજા જેવા જાહેર સ્થળે ગામની માટી અને પથ્થરથી ઉભી કરવામાં આવશે.

આ સમગ્ર ઉજવણી દરમિયાન પાંચ કાર્યક્રમો યોજાશે. જેમાં શિલાફલકમનું લોકાર્પણ ઉપરાંત નાગરિકો પંચપ્રણ સંદર્ભે સામૂહિક શપથ ગ્રહણ કરશે. જેની સેલ્ફી વેબસાઇડ પર અપલોડ કરી શકાશે. આ પ્રસંગે વસુધાવંદન કાર્યક્રમ થકી માતૃભૂમિને લીલીછમ બનાવવા માટે ગામના મહત્વના સ્થળ ખાતે ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. વીરોને વંદન કાર્યક્રમ થકી આઝાદીના શહીદો કે દેશ માટે બલિદાન આપનાર જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવશે. તેમજ ઘ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના તમામ ગામની માટી એકઠી કરવામાં આવશે. તેમજ દરેક તાલુકામાંથી એક નવયુવાન પોતાના ટ્રેડિશનલ ડ્રેસ સાથે તાલુકા કક્ષાએથી માટીનો કળશ લઇ ૭૫૦૦ જેટલા માટીના કળશ સમગ્ર દેશમાંથી એકત્ર કરી દિલ્હી ખાતે કર્તવ્યપથ પર સમગ્ર દેશના તાલુકા મથકેથી માટીના કળશ લઇને આવેલા યુવાનોનું એકત્રીકરણ થશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે.

સમગ્ર ગુજરાત સાથે ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે સઘન કામગીરી હાથ ઘરાઇ છે. રાજ્ય કક્ષાએથી વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે આ તબક્કે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જિલ્લામાં કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button