ST : રાજ્ય સરકાર દ્વારા ST બસ પોર્ટ તેમજ તેની આસપાસના શૌચાલય ફ્રી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં બસ પોર્ટ તેમજ આસપાસના પે એન્ડ યુઝ શૌચાલયમાં કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં વસુલવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્ય સરકાર દર મહિને થતી લાખોની આવક જતી કરશે.
રાજ્ય સરકાર દ્વારા ST બસ પોર્ટ તેમજ તેની આસપાસના શૌચાલય ફ્રી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્ય સરકાર દર મહીને રુપિયા 10 લાખની આવક જતી કરશે. આ અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. આ માટે રાજ્યના તમામ બસ પોર્ટના પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવી માર્ચ સુધીમાં છુટા કરાશે અને બાદમાં શૌચાલયને ફ્રી કરવામાં આવશે. રાજ્યના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો માર્ચ મહિના બાદ અમલ કરવામાં આવશે.
રાજ્યભરમાં ST વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો છે, ત્યારે તમામ ST બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બસ પોર્ટ પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસટી બસમાં લાખો લોકો મુસાફરી કરે છે, તેમના માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
હવેથી બસ પોર્ટ પર 24 કલાક સફાઈકર્મી હાજર રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના 125 બસ પોર્ટ અને અન્ય જગ્યાઓ પર ચૂંટાયેલા સભ્યો જેમાં 550થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્ટેશનની સફાઈ માટે આ અભિયાનમાં જોડાયા છે. ગુજરાત STએ આ બધા સાથે મળી સ્વચ્છતા અભિયાનની આજથી શરૂઆત કરી છે. લક્ઝરી બસ કરતા વધુ સારી કંઈ રીતે ST બસ સેવા બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.










