જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ નરસિંહ મહેતાના દર્શન કરી ઉમેદવારી નોંધાવી
દોમડીયા વાડી ખાતે સભા બાદ ટેકેદારો અને સમર્થકોની સાથે પરિવર્તન સંકલ્પ રેલી યોજી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : લોકસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક નોંધાવવાના આજ છેલ્લો દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠક ઉપર ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા વધુ વેગવાન બની છે.
ત્યારે જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવાએ
નરસૈયાની નગરીમાં ફોર્મ ભરતાં પહેલા નરસિંહ મહેતા ચોરાએ નરસૈયાના દર્શન કરવા ગયા અને ભક્ત કવિ નરસિંહ મહેતાની ચિરંજીવી યાદો જ્યાં જોડાયેલ છે, એવા પવિત્ર દામોદર કુંડ ખાતે દર્શન કરી ઉમેદવારીપત્ર ભર્યું હતું, ત્યારે જૂનાગઢના બુદ્ધિજીવી લોકોએ કોંગ્રેસના ઉમેદવારની સરાહના કરી અને સોશિયલ મિડિયામાં કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના વખાણ કરતા જણાવ્યું હતું કે એ સારી વાત છે, અને નરસૈયાની નગરીમાં નરસિંહ મહેતા ચોરાએ દર્શન કરવા માટે હજુ કોઈ પક્ષના આગેવાનો ગયા જ નથી અને કમ સે કમ આ વ્યક્તિએ નરસિંહ મહેતાને યાદ તો રાખ્યા અને
નરસિંહ મહેતાના દર્શન કરી શામળીયા શેઠ સુધી જૂનાગઢની યાતના પહોંચાડવા મહેતાજીને પ્રાર્થના કરી હશે એ ખૂબ મોટી વાત છે.
ત્યારે આજે એક વિશાળ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી અને ટેકોદારો અને સમર્થકોની ઉપસ્થિતિમાં વિધીવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કાર્યકર્તાઓએ હિરાભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈના નારા લગાવ્યા હતા.
જેમાં સોરઠ પંથકની અતિ મહત્વની જૂનાગઢ લોકસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધા જંગના મંડાણ છે. જયારે ગત તા.૧૬ના રોજ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ સમર્થકોની હાજરીમાં પોતાની
ઉમેદવારી નોંધાવી હતી.
જયારે આજે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ આજે સવારે
દોમડીયા વાડી ખાતે શહેર જીલ્લાના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, હિતચિંતકો, શુભેચ્છકોની વિશાળ હાજરી વચ્ચે દોમડીયા વાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા, અને સભા બાદ ત્યાંથી એક રેલી યોજવામાં આવી હતી. સમર્થકોની સાથે રોડ શોની શરૂઆત દોમડીયા વાડી કોલેજ રોડથી કરવામાં આવી હતી. કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક, ચીતાખાના ચોક, ગાંધીચોક, બસ સ્ટેન્ડ, ઝાંસીની રાણીના સર્કલ થઈને કલેકટર કચેરીએ પહોંચી હિરાભાઈ જોટવાએ પોતાનું ઉમેદવારી પત્રક રજુ કર્યું હતું.
કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ચાર કિલોમીટરનો રોડ શો પદયાત્રા કરીને યોજયો હતો, અને ઠેર-ઠેર તેઓને આવકારવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આહિર સમાજના અડીખમ નેતા અને જાહેર જીવનમાં દરેક વર્ગમાં સારી એવી ચાહના ધરાવનાર હીરાભાઈ જોટવાએ કોંગ્રેસ તરફથી જૂનાગઢની લોકસભાની બેઠક ઉપર જયારે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે તેઓને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.





