વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નામદાર સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર વિદેશથી આયાત કરાતા ફટાકડા પર પ્રતિબંધ ફરમાવવામા આવેલ છે.
જે મુજબ હાથ ધરાયેલી કાર્યવાહી બાદ જારી કરાયેલા એક આદેશમા ફટાકડા સંબંધિત કેટલાક દિશાનિર્દેશો જાહેર કરાયા છે. જેના અમલીકરણ માટે, તથા ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો નિમિત્તે ફોડવામા આવતા ફટાકડાના કારણે કોઇ અકસ્માતના બનાવો ન બને, અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે, સમગ્ર ડાંગ જિલ્લામા ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મહેશ પટેલ દ્વારા, જિલ્લાના મહેસૂલી વિસ્તારમા નીચે મુજબની સુચનાઓનું પાલન કરવા માટે ફરમાન કરવામા આવેલ છે.
(૧) ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
(૨) ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમા હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા, (ફટાકડાની લૂમ) (Joint firecrackers, Series crackers or Laris) રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
(૩) હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO (Petroleum and Explosives Safety Organisation) દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (DECIBEL LEVEL) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ પર PESO ની સૂચના પ્રમાણે માર્કિંગ હોવું જરૂરી છે.
(4) હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારોને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે, અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.
(૫) કોઇ પણ પ્રકારના પ્રતિબંધિત વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
(૬) તમામ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી.
(૭) લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જિલ્લામાં બજારો, શેરીઓ, ગલીઓ, પેટ્રોલ પંપ, એલપીજી પંપ કે ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોડાઉનની નજીક ફટાકડા, દારૂખાનું ફોડી શકાશે નહી.
(૮) કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુન વિગેરે પ્રકારના) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી, તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહી.
(૯) ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કોર્ટનાં તા.૨૩/૧૦/૨૦૧૮નાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.
(૧૦) ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. તથા ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ જાહેરનામુ તા.૨૪/૧૨/૨૦૨૩ થી તા.૦૧/૦૧/૨૦૨૪ સુધી (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામા આવેલ છે. તેમજ આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.








