
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ડાંગી તમાશા”ના માધ્યમથી સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પોહચાડાઈ
જિલ્લા માહિતી કચેરી આહવા દ્વારા વિના મૂલ્યે યોજનાકીય પ્રચાર સાહિત્યનું વિતરણ કરાયું

ડાંગ જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આહવા તાલુકાના પુર્વપટ્ટી વિસ્તારમા આવેલા કડમાળ ગામે “સમાજ શિક્ષણ શિબિર”નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા વિભાગ દ્વારા સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે પરંપરાગત ડાંગી તમાશાના માધ્યમથી લોકોને મનોરંજન સાથે સરકારી યોજનાઓની માહિતી આપવામા આવી હતી.
આદિજાતી વિકાસ અધિકારી શ્રી આર.કે.કનુજાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જનજાતિના લોકોનો શૈક્ષણિક અને સામાજિક રીતે ઉત્કર્ષ થાય, સામાજિક કુરિવાજો નાબૂદ થાય અને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી દરેક લોકો સુધી પહોંચે તેમજ અનુસૂચિત જનજાતિ અધિનિયમ-૧૯૮૯ (સુધારેલ ૨૦૧૫) ની જોગવાઇ હેઠળ અત્યાચારના ભોગ બનેલા વ્યક્તિ/પરિવાર અને છેવાડાના માનવીને સહાયની જાણકારી મળે તે માટે લોકોને મનોરંજન સાથે પોતાની જ ભાષામાં યોજનાઓની માહિતી મળી રહે તે માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડાંગી તમાશા દ્વારા સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાત્રી દરમિયાન આયોજિત પરંપરાગત માધ્યમ હેઠળના તમાશા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગ્રામીણજનોને, જિલ્લા માહિતી કચેરી આહવા દ્વારા વિના મૂલ્યે યોજનાકીય પ્રચાર સાહિત્યનું વિતરણ પણ કરાયું હતું.
કડમાળ ગામમા યોજાયેલ “સમાજ શિક્ષણ શિબિર” માં મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી શ્રી ચુનીલાલ ભોવરે, સ્થાનિક આગેવાનો તેમજ સ્થાનિક ૫૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.








