તા.૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે.આ અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે કલેક્ટર કચેરી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના ખર્ચ પર નિરીક્ષણ કરવા ૨૦૦૪ની બેચના આઈ.આર.એસ. માધબ ચંદ્ર મિશ્રાની ૧૦- રાજકોટ સંસદીય વિસ્તારના ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઈ છે.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં સંભવિત ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી ચૂંટણી સભા,રેલી વગેરેના આયોજન અનુસંધાને મંડપ, સ્ટેજ, ફર્નિચર અને આનુસંગિક આઈટમ જેવી કે સાઉન્ડ સિસ્ટમ, ટીવી વગેરેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવશે, સાથે સમાચારપત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા વગેરે મારફત જાહેરાત તથા પ્રચાર – પ્રસાર સભામાં ચા – નાસ્તો, ભોજન તથા રાજકીય પક્ષો દ્વારા હેલિકોપ્ટર – એરક્રાફ્ટનો અને ઉમેદવારો-રાજકીય પક્ષો તરફથી ચૂંટણી સભા અન્વયે વાહનો ભાડે મેળવી ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સૌ વસ્તુઓના ભાવ નિશ્ચિત કરવામાં આવેલ છે ત્યારે દરેક ઉમેદવાર ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શી તેમજ નિયમાનુસાર પૂર્ણ થાય તે હેતુ સહ શ્રી માધવ ચંદ્ર મિશ્રા ૧૦- રાજકોટ સંસદીય વિસ્તાર પર દેખરેખ રાખશે.








