
13-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મહિલા સશક્તિકરણ અને વ્યસન મુક્તિ અંગે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
વ્યસન મુક્તિ અંગેના ઉત્તમ ઉપાય દ્રઢ સંકલ્પ શક્તિ અંગે સમજણ આપતા બ્રહ્માકુમારી સુશીલાદીદીએ ભાવિશિક્ષકોને રાજયોગ મેડીટેશન દ્વારા મનની શક્તિઓ ઓળખવાની સમજણ આપી
કોલેજના તાલીમાર્થી દ્વારા વ્યસન મુક્તિ અને મહિલા જાગૃતિ અંગેના સંદેશાઓ દરેક શાળા અને ગામ સુધી પહોંચાડવામાં આવશે
મુન્દ્રા કચ્છ :-૮ માર્ચે આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે આપણે બધા જાણીએ છીએ, પરંતુ ભારત 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે અને વર્તમાન પરિસ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવા સમયે જ્યારે આપણે હજી પણ સમાનતા અને મહિલા સશક્તિકરણ માટે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાની અને કવિ સરોજિની નાયડુના જન્મ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, પરંતુ મહિલાઓના અધિકારો માટે પણ લડ્યા હતા. તેમને ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકેનું સન્માન પણ મળેલ છે. તેમની કવિતાઓને કારણે તેમને ‘ભારત કોકિલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.મહિલા સશક્તિકરણ અને વ્યસન મુક્તિ અંગે યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં કોલેજના તાલીમાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં પ્રથમ ત્રણ નંબરે અનુક્રમે તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર, દેવાંગ ઠક્કર અને આરતીબેન સોલંકી વિજેતા જાહેર થતા તેમને ઝરપરા આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોલેજના પ્રોફેસર ડો. દીપકભાઈ પંડ્યા અને કમલાબેન કામોલએ સેવા આપી હતી.કાર્યક્રમના મુખ્ય અતિથિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સુશીલાદીદીએ દ્રઢ સંકલ્પ શક્તિ વ્યસ્ત મુક્તિનો ઉત્તમ ઉપાય હોવાની સમજણ આપતા ભાવિ શિક્ષકોને રાજયોગ મેડીટેશન દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકાય છે એવી સમજણ આપી યોગ શિબિરમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆએ શાળા અને કોલેજકક્ષાના વિદ્યાર્થીઓમાં વધતા જતા ડ્રગ્સના દુષણ અંગે ગંભીર ચેતવણી આપતા વ્યસનથી દૂર રહેવાની સલાહ આપી હતી જ્યારે સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરે ભાવિશિક્ષકોને વ્યસન મુક્તિ અને મહિલા જાગૃતિ અંગેના સંદેશાઓને તાલુકાની શાળાઓના બાળકો અને ગામ લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાંદનીબેન ગુસાઈ અને ધ્રુવીબેન રાઠોડએ કર્યું હતું. જ્યારે આભારવિધિ જનરલ સેક્રેટરી ગોપાલભાઈ એમ. ટાપરિયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર સુમિત્રાબેન બલાત, રમીલાબેન વસરા, જીગ્નેશભાઈ પંચાલ અને અશ્વિનભાઈ ગરાસીયા સહયોગી રહ્યા હતા.








