“નરેન્દ્ર મોદીજી ગુજરાતમાં સીબીઆઈ અને ઇડી મોકલો” : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર વાત કરતાં કહ્યું કે, સુરતમાં ફક્ત એક મહિના પહેલા જ એક બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે બ્રિજ હવે તૂટવા માંડ્યો છે. એ બ્રિજમાં હવે તિરાડો પડવા માંડી છે.
રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ કોઈ પહેલો બ્રિજ નથી. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે. ભ્રષ્ટાચાર પોકારી રહ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે. કારણ કે ગુજરાત અત્યંત ભ્રષ્ટાચારમાં સપડાઈ ચૂક્યું છે.
ઈસુદાને કહ્યું કે રાજ્યમાં આવેલા મોટા મોટા બ્રિજમાં તિરાડો પડી છે અને આના કારણે ગમે તે સમયે મોટી જાનહાનિ થઈ શકે એવા ચાન્સ છે. આપણે મોરબીમાં જોયું કે એક બ્રિજ તૂટવાના કારણે 135 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. તે સમયે મોરબીમાં પણ સીબીઆઇ આવી ન હતી. અમે રાહ જોઈ રહ્યા છીએ કે કઈ રીતે તપાસો થશે. બુથ માટે લોકોના ઘરે ભાજપના કાર્યકર્તાઓ જઈ રહ્યા છે પરંતુ જનતાના હિત માટે ક્યારેય જતા નથી. એ લોકોને ફક્ત ચૂંટણીઓ જ જીતવી છે. પણ જ્યારે આવા મોટા ભ્રષ્ટાચાર થાય છે તો ભાજપના કોઈ નેતા કંઈ બોલતા નથી.
તેમણે કહ્યું કે આજે આ મુદ્દે ભાજપના કોઈ નેતા કાંઈ બોલતા નથી, કોઈ અધિકારીઓ કંઈ બોલતા નથી. આ બ્રિજમાં 118 કરોડનો ખર્ચ થયો છે એવું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
તેમણે સરકારને પ્રશ્નો પૂછ્યા છે કે બ્રિજ બની ગયા પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે એ કોણે કર્યું છે? કયા નેતાને નિવેધ પધરાવ્યું છે કે પછી ક્યાંય ચૂંટણી ફંડમાં કોઈ રૂપિયા આપ્યા છે? આ બધાની હકીકત શું છે એ વાત બહાર આવે એના માટે આમ આદમી પાર્ટી તપાસની માંગ કરી રહી છે. છેલ્લા થોડા સમયમાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે, તો આ બધાની જ તપાસ કરવામાં આવે.
https://twitter.com/i/status/1674032980166098946










