
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આદિવાસી સંઘર્ષ સમિતિ ડાંગનાં આગેવાનો દ્વારા રાજ્યપાલ તથા મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લો પ્રવાસન સ્થળ તરીકે દેશ અને દુનિયામાં જાણીતો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ઘણી એવી સમસ્યા છે જેના પર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. જેમ કે સિવિલ હોસ્પિટલ આહવા તેમજ ડાંગ જિલ્લાની તમામ સીએચસી તથા પીએચસી ખાતે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓની ભરતી કરવા તેમજ પૂર્ણ કક્ષાની તમામ સારવાર મળી રહે જેથી દર્દીને બીજા જિલ્લામાં રીફર ન કરવુ પડે, સરકારી બ્લડ બેન્ક ની સ્થાપના કરવામાં આવે જેથી અન્ય જગ્યાએ બ્લડ લેવા જવું ન પડે, સાપુતારા ખાતે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને તંત્ર દ્વારા સ્થાનિક લોકો પર જે અત્યાચાર થાય છે તેને અટકાવવામાં આવે, સાપુતારા મેઘ મલ્હાર પર્વમાં આદિવાસી સમાજને બિભત્સ રીતે રજૂ કરીને આદિવાસી સમાજની લાગણી દુભાવવા આયોજકો અને કલાકારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, વઘઈ ખાતે આવેલ સરકારી ખેતીવાડી હાઈસ્કૂલનું બાંધકામ ચાલુ કરવામાં આવે, આહવા, સુબીર, વઘઈ એમ ત્રણેય તાલુકામાં લાઇબ્રેરી ચાલુ કરાવવામાં આવે, પ્રાથમિક શાળાના તોડી પાડેલ ઓરડાઓનું તાત્કાલિક બાંધકામ કરાવવામાં આવે, ડાંગ જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે અને આંતરિક રસ્તાનાં ખાડાઓ તથા પુલની મરામત કરવામાં આવે, યોજનાકિય કામગીરી કે પ્રોજેક્ટ મંજુર કરતા પહેલા સંલગ્ન ગામોની રૂઢિગત ગામ સભાઓની સંમતિ લેવામાં આવે, જિલ્લા કક્ષાએ ચેરિટી કમિશનરની ઓફિસ ફાળવવામાં આવે જેથી લોકોને વલસાડ સુધીનાં ધક્કા બંધ થાય એમ મળી કુલ 10 જેટલા મુદ્દાઓને લઈને આદિવાસી સંઘર્ષ સમિતિ ડાંગનાં આગેવાનોમાં ગમજુ ખાલપા ચૌધરી,મુકેશભાઈ પટેલ,મોતીલાલભાઈ ચૌધરી, ગમનભાઈ ભોયે,મનીષભાઈ મારકણા, એસ.ઓ.આઈ શામગહાન ગ્રુપ દ્વારા કલેક્ટર મારફતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.તેમજ તા.04/09/2023નાં રોજ સુધીમાં પડતર પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ ન કરવામાં આવે તો ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે…





