નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે બેઠક મળી
ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકાઈ છે. ૨૫ – નવસારી લોકસભા મતવિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે આજે નવસારી જિલ્લા સેવા સદન ખાતેના કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણીપંચની સૂચના મુજબ વિવિધ વસ્તુઓ અને બાબતોના નક્કી કરવામાં આવેલા ભાવો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓના સૂચનો અને રજૂઆતોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સાંભળ્યા હતા અને નિયમોના બાબતે અને કાયદાની જોગવાઈથી ઉપસ્થિત તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નાયબ કલેકટરશ્રી ઓમકાર શીંદે, નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેન પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








