BHUJGUJARATKUTCH

કચ્છના માનવ વસાહત રહીત ૨૧ ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-20 મેચ : કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલ છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.

રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-૨૧ (એકવીસ) ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામા અન્વયે રાજય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારીશ્રીઓને મુક્તિ આપવામાં આવશે. આ જાહેરનામું તા.૧૮/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા- ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button