
તા.૧૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જમનાવડ ગામે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને કરાયા લાભાન્વિત
Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ફરી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં વાડોદર, ઉદકીયા અને જમનાવડ ગામે આ યાત્રા યોજાઈ હતી. જમનાવડ ગામે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ તકે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, નાનામાં નાના માણસથી લઈને છેવાડાનાં માણસ સુધી વિકાસના લાભો પહોંચાડવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે ત્યારે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની અનેકવિધ યોજનાઓનાં લાભો નાગરિકોને ઘર આંગણે મળી રહ્યા છે. પાત્રતા ધરાવતા તમામ નાગરીકો યોજનાઓનાં લાભ લેવાની સાથે સાથે જરૂરિયાતમંદ નાગરીકોને જાણ કરી લાભ અપાવે તે માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો તથા રોગો સામે રક્ષણ મેળવી સ્વસ્થ અને નિરોગી જીવન માટે રાસાયણિક કૃષિના બદલે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડુતો વળે તે માટે વધુ ભાર મૂકી ખેડુતોને પ્રોત્સાહીત કર્યા હતા.

કાર્યક્રમ સ્થળે પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
“ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા રજૂ કરી રસાયણથી થતી ખેતીના જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ બાળાઓએ પાઠવ્યો હતો. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ આગેવાનશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મયુરભાઈ શિંગાળા, જમનાવડ ગામ સરપંચશ્રી હિતેશભાઈ વાઘમશી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.સી. સરતેજા, વિસ્તરણ અધિકારીશ્રીઓ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








