
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
બમ બમ ભોલેના નાદથી ગુંજતા શિવાલયોની સાથે પવિત્ર શ્રાવણ માસમાં દંડકારણ્ની પાવન ભૂમિ ઉપર, વાસુરણા સ્થિત ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ ખાતે ‘પંચ દિવસીય મહારુદ્ર યાગ’ સફળતાપૂર્વક સંપન્ન થયો.
આચાર્ય શ્રી કેતન દાદા તથા બ્રહ્મવાદિની સુશ્રી હેતલ દીદીના સાન્નિધ્યે તા.૨૪ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન, દરરોજ સવારે ૯ થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ ખાતે પંચ વકત્ર પૂજા, શિવ રુદ્રાભિષેક, બરફાની બાબા એવા બાબા અમરનાથની ઝાંખી કરાવતા ઘી ના શિવલિંગ, શિવ રાજોપચાર પૂજા, પાર્થિવ શિવલિંગ પૂજા જેવા કાર્યો પૂર્ણ ભક્તિભાવ પૂર્વક હાથ ધરાયા હતા.
સનાતન ધર્મની ધ્વજારોહણ સાથે આયોજિત આ કાર્યક્રમમાં શિવોહમ ગ્રુપ દ્વારા દરરોજ અલગ અલગ થીમ આધારિત રંગોળી પુરી, પંચાયતન પૂજા પણ કરવામાં આવી હતી.
પ્રાકૃતિક ડાંગ જિલ્લાની પ્રકૃતિની રમણીયતા સાથે ડાંગ ઉપરાંત છેક બીલીમોરા, વલસાડ, મુંબઈ, નવસારી, સુરત, વડોદરા, અને અમદાવાદથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ, દંડકારણ્યની ભૂમિ પર પધારી, શિવ આરાધનાના આ કાર્યમાં આહુતિ આપી હતી.
કાર્યક્રમના અંતિમ દિવસે નવસારીના સમાજશ્રેષ્ઠી દાતા શ્રી ચેતનભાઈ રાવલના સહયોગથી આયોજિત મહાપ્રસાદ/ભંડારા નો પણ વાસુરણા સહિત આસપાસના ગ્રામીણજનો અને પધારેલા ભક્તગણે લાભ લીધો હતો.





