ANJARKUTCH

પૂર્વ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારીઓ પર ખનીજ માફીયા દ્વારા સરાજાહેર હુમલો

છેલ્લા બે માસમાં બે પત્રકારો ઉપર પણ ખનીજચોરોએ હુમલો કર્યાના બનાવ સામે આવ્યા છતાં પોલીસ આવા અસામાજિક તત્વોને ડામવામાં નિષ્ફળ

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
અંજાર : તંત્રની મહેરબાનીથી પૂર્વ કચ્છમાં ખનીજ માફીયાઓ ફાટી નીકળ્યા છે. જેની આડઅસર રૂપે ખુદ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મીઓ પર ડમ્પર માલિક દ્વારા હુમલો કરાયાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર રોયલ્ટી ઈન્સ્પેક્ટર દિલીપ નકુમ અને સિક્યુરિટી ગાર્ડ જયપાલસિંહ ગોહિલ અંજારના ગળપાદર રોડ પરથી ડમ્પર નં જીજે-૧૯-એક્સ-૨૦૦૦ વાળું ઓવરલોડ જણાતા વજન કરાવવા લઈ જવાઈ રહ્યું હતું. તેવામાં રસ્તામાં જ ડમ્પર માલિક ફરીદ ફતેહઅલી ખોજાએ પોતાનું બાઈક ડમ્પર આડે મૂકી ડમ્પરની કેબીનમાં ધસી જઈ સિક્યુરિટી ગાર્ડ ગોહિલ પર પાઈપ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં ઘાયલ સિક્યોરિટી ગાર્ડને ધાકધમકી કરી ઉતારી દીધા બાદ ડમ્પર ખાલી કરી ત્યાંથી ડમ્પર પણ હંકાવી ગયો હતો અને ચમત્કારિક રીતે બપોરે ૧૨ વાગ્યે  લીઝ માપવા ગયેલી ટીમ સમક્ષ ખાલી ડમ્પર સીઝ કરવા રજુ પણ કરાઈ દેવાયું હતું!
વિશ્વસનીય સુત્રોનું માનીએ તો હુમલાવર બાઈકથી નહીં બ્લેક કલરની એસયુવી ગાડીથી આવ્યો હતો. બીજીબાજુ ફરિયાદી રોયલ્ટી ઈન્સ્પેક્ટર એક તબક્કે ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા હતા. એટલે જ કદાચ ઘટનાની ગંભીરતા જાણતા હોવા છતાં પહેલા પોલીસ ફરિયાદ કરવાની બદલે લીઝ માપણીનો ડોળ કરવામાં આવ્યો હતો. પણ તટસ્થ અધિકારી એન.એ.પટેલ દ્વારા ઘટનાની ફરિયાદ નોંધાવવાના કડક સૂચન બાદ ન છૂટકે અંજાર પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. અલબત્ત આ લખાય છે ત્યાં સુધી અંજાર પોલીસ મથકે એફઆઈઆર નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે.
ભ્રષ્ટ કર્મીઓના કારણે ક્યારેક નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવશે ત્યારે તંત્ર જાગશે કે પછી ગઈકાલના બનાવને લાલબત્તી સમાન સમજી કચેરીના વહીવટદારોને દૂર કરી ખનીજ માફીયાઓ પર ઘોસ બોલાવવામાં આવશે તે જોવું રહ્યું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button