જૂનાગઢના ખડીયા ગામે ઇકોસેંસેટીવ ઝોનના નામે વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું
જે વેપારીઓ લોન લઈને નાનો મોટો ધંધો કરે છે, તેમના પેટ પર લાત મારવા જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે : રેશ્મા પટેલ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ખડિયા ગામમાં વેપારીઓએ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ખડીયા ગ્રામ પંચાયતમાં એક આવેદનપત્ર આપ્યું છે.
જેમાં હાલ જૂનાગઢના 27 ગામોને ઇકોસેંસેટીવ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાનું એક ખડિયા ગામ છે, અને ઇકોસેંસેટીવ ઝોનના નામે આજે વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તેમજ વેપારીઓને જણાવવામાં આવ્યું છે કે ફૂડ પેકેટના પડીકા, દૂધની કોથળીઓ અને પ્લાસ્ટિકની બોટલો જેવી ચીજ વસ્તુઓ તેઓ વેચી શકતા નથી. અને તલાટી-મંત્રીના સહીવાળી પહોંચ આપવામાં આવી છે.
આજે આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે તંત્રના આવા નિયમો મંજૂર નથી. જે વેપારીઓ લોન લઈને નાનો મોટો ધંધો કરે છે, તેમના પેટ પર લાત મારવા જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ઇકોસેંસેટીવ ઝોનમાં આવતા ગામડાઓમાં અને ખાસ કરીને ખડીયા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને મોટા પ્રમાણમાં ડસ્ટબીન મૂકવામાં આવે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે આવા નિયમો લાવી રહી છે. ત્યારે અમારી માંગણી છે કે આવા નિયમોમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત આપવામાં આવે. અને આ મુદ્દે સરકાર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે.