રાજકોટ ખાતે યોજાનાર પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ માટે તાલુકા કક્ષાએ બેઠકો યોજાઇ

તા.૨૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા.૨૭ના રોજ રાજકોટ ખાતે થનાર લોકાર્પણ કાર્યક્રમના આયોજન માટે જિલ્લાના ઉપલેટા, પડધરી, જામકંડોરણા, ધોરાજી, જસદણ અને વિંછીયા ખાતે તાલુકા કક્ષાએ બેઠકો યોજાઈ હતી. જેમા ધોરાજી તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યશ્રી મહેન્દ્ર પાડલીયાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, સંગઠનના આગેવાનો તથા અન્ય અધિકારીઓ સાથે કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ગ્રામ્ય કક્ષાએથી રાજકોટ કાર્યક્રમ માટે આવનાર લોકોની આવાગમનની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે તેમના માટે બેઠક વ્યવસ્થા, બહોળી સંખ્યામાં લોકો આવવાના હોઈ પાર્કિંગ, પાણી વગેરે આવશ્યક સવલતો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામકંડોરણા, જસદણ અને વિંછીયા તાલુકા પંચાયત ખાતે પણ તમામ સરપંચ,તાલુકા સદસ્ય અને આગેવાનો દ્વારા ચર્ચા કરી ૨૭મી તારીખના કાર્યક્રમ સંબંધિત વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.








