હરિયાણાને ફરી હિંસામાં નાખવાનો પ્લાન ? હિન્દુત્વવાદી સંગઠનોએ શહેરમાં ફરીથી બ્રજમંડળ શોભાયાત્રા કાઢવાની તૈયારીઓ શરુ કરી

હરિયાણાના નૂંહમાં શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી કોમી હિંસાની આગ હજુ શાંત જ થઇ છે, એવામાં હિન્દુત્વવાદી સંગઠનોએ શહેરમાં ફરીથી બ્રજમંડળ શોભાયાત્રા કાઢવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. મળતી માહિતી મુજબ 28 ઓગસ્ટે શોભાયાત્રા કાઢવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા આ શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી, છતાં આ શોભાયાત્રાની જાહેરાત કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની હિંસા અને અપ્રિય ઘટનાને ટાળવા પ્રશાસન દ્વારા શહેરમાં 29 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા અને બલ્ક એસએમએસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન માત્ર કોલિંગ સેવા કાર્યરત રહેશે.
13 ઓગસ્ટના રોજ નૂંહ પાસે આવેલા પલવલના પોંડરી ગામમાં ઘણા હિન્દુ સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં, નૂહના નલ્હાર મંદિરથી ફરીથી આ શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જિલ્લામાં પોલીસ તંત્રે 29 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા અને બલ્ક એસએમએસ બંધ રાખવા માટે હરિયાણાના ગૃહ વિભાગ, પંચકુલાના અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. જેથી કોઈ ભડકાઉ પોસ્ટ કે ભ્રામક પ્રચાર વાયરલ ન થઈ શકે.
નોંધનીય છે કે ગયા મહિને 31 જુલાઈની બપોરે નૂંહમાં એક સરઘસ દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. દિવસો સુધી ચાલેલી અથડામણોમાં 2 હોમગાર્ડ જવાન સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો.