
તા.૭/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજયવ્યાપી “મિશન ઇન્દ્રધનુષ”નો શુભારંભ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. જે અન્વય મિશન ઇન્દ્રધનુષના પાંચ તબક્કામાં રાજકોટ જિલ્લામાં રસીથી વંચિત રહી ગયેલા બાળકો અને સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. આજરોજ કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન અંતર્ગત ઉપલેટા તાલુકા હેઠળના ગામોમાં વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર તથા ઝુપડપટ્ટીમાં આરોગ્ય ટીમ દ્વારા રસીકરણ થી વંચિત રહેતા બાળકો તથા સગર્ભા મહિલાઓનો સર્વે કરી રસીકરણ વિશે સમજાવી રસીકરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન ઇન્દ્રધનુષ ૫.૦ હેઠળ તા. ૦૭ થી ૧૨ ઓગસ્ટ, તા. ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને તા. ૦૯ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સર્ગભા બહેનોને ઘનુર અને ડિપ્થેરિયા જયારે બાળકોને થતાં ઓરી, રૂબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં ( ન્યૂમોનિયા અને મગજના તાવ ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતાં ઝાડા, ઓરી અને રૂબેલા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવશે. આ રોગ પ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી, બાળકો અને સગર્ભાઓએ આ રસીઓ ખાસ લઈ પોતાને અને નવજાત શિશુઓને અનેક રોગોથી સુરક્ષિત કરવા માટે જરૂર લેવી જોઈએ.