કેશોદના જુના સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા હિંડોળા ઉત્સવનો બહોળી સંખ્યામાં લાભ લેતાં હરિભક્તો ભાવિકો

કેશોદના જુના પ્લોટ વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ નાં મંદિરે હિંડોળા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કેશોદમાં આવેલાં જુના સ્વામિનારાયણ મંદિરે દરરોજ જુદી જુદી વસ્તુઓ નો ઉપયોગ કરી અલૌકિક અદભુત શણગાર કરવામાં આવતો હરિભક્તો ભાવિકો દર્શન કરી મંત્રમુગ્ધ બની જાય છે.શ્રી સ્વામિનારાયણ ભગવાનને સંતો – ભક્તો વિવિધ હિંડોળામાં બિરાજમાન કરી દર્શન કરતાં કરતાં ઝુલાવે અને પાવન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો આવે છે. એમાં મહા કવિ કાલિદાસ કહે છે તે મુજબ “ઉત્સવ પ્રિયા ખલુ માનવા:” એ ન્યાયે ઉત્સવ માણસને આનંદ અને ઉલ્લાસની પ્રતીતિ કરાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય સવિશેષ છે. તેમાં ઉત્સવ સમૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે. આ ઉત્સવો સૌથી વધુ ચતુર્માસ કહેતાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો – આ ચાર માસ દરમિયાન આવતા હોય છે.આ ઉત્સવોમાં હિંડોળા ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે. હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ બીજ સુધી ચાલતો હોય છે. આ ઉત્સવમાં સંતો-ભક્તો પોતાના મનના સંકલ્પો પ્રમાણે ભગવાનને હિંડોળામાં બેસાડીને ઝુલાવીને ભક્તિ અદા કરે છે. ભગવાનને રિઝવવા માટે ભક્તો વિવિધ પ્રકારના હિંડોળા શણગારે છે. સંતો – ભક્તો ભગવાનને બિરાજમાન કરવા માટે અગરબત્તી, ચાંદી અને સુવર્ણના દાગીના, પુષ્પો, ફ્રુટ, સૂકોમેવો, હીર, કઠોળ, પેંડા, મોરપીંછ, સિક્કા, બોલપેન, રાખડી, પવિત્રા વગેરે નિત-નવા નવલાં વસ્તુઓથી – પદાર્થોથી હિંડોળાને સુશોભિત કરે છે. હિંડોળા તૈયાર કરવા માટે હરિભક્તો તન મન ધન અર્પણ કરે છે. સંધ્યા સમયે મંદિરમાં સંતો – ભક્તો અને સત્સંગીઓ સાથે મળીને મૃદંગ, પખવાજ, ઝાંઝ, મંજીરા, ઢોલક આદિ વાજિંત્રો સાથે હિંડોળાનાં પદોનું ગાન કરીને ઉત્સવ કરે છે. ત્યારબાદ સંધ્યા આરતી કરવામાં આવે છે અને સંધ્યા આરતીના નિયમો પણ કરવામાં આવે છે.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે હિંડોળામાં પ્રભુની અનોખી ઝાંખી થાય છે. પ્રભુને ઝુલાવવાનો અનેરો દિવ્ય આનંદ છે. વસંત ડોલે અને હિંડોળા એવી ઋતુઓમાં આવે છે કે સૃષ્ટિ સૌંદર્ય પૂરબહારમાં ખીલેલી હોય છે. ભક્તિના વિવિધ પ્રકારોમાં પ્રેમલક્ષણા ભક્તિ અનન્ય સ્થાન ધરાવે છે. જે ઈશ્વર સમક્ષ તમામ ભક્તો વંદન કરતા હોય તેના જ ભગવાનને – બાલ સ્વરૂપને લાડ લડાવવામાં આવે છે. આવો જ હિંડોળા ઉત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. સંતો – ભક્તો, બહેનો અને સત્સંગીઓ સાથે મળીને આ હિંડોળામાં પોતાની ભક્તિરુપી સેવા કરી છે. જેના દર્શનાર્થે અનેક સત્સંગીઓ, ભાવિકો, દર્શનાર્થીઓ, હરિભક્તો પણ હરખભેર ઉમટે છે. કેશોદના સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા હિંડોળા ઉત્સવ આ વર્ષે અધિક શ્રાવણ માસ હોવાથી બે માસ સુધી ચાલનાર હોય મંદિરે દર્શન નો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ