દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર શ્રી અશોક શર્માની અધ્યક્ષસ્થાને યોજાઇ

બેઠકમાં જનહિતને લગતા પ્રશ્નો આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા રચનાત્મક સૂચનો કરતા કલેકટર
માહિતી બ્યુરો દેવભૂમિ દ્વારકા. તા.૧૬
જિલ્લા સેવા સદન, બેઠક રૂમ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર અશોક શર્માની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા, તથા લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા અંગે આ બેઠકમાં સૂચનો કરવામાં આવ્યા હતા.
બેઠકમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન, અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો પણ કરાયા હતા.
બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કર્યા બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના વિવિધ પ્રશ્નોનું નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. કામગીરી અંગે સમીક્ષા કરતા જિલ્લાના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજા, ડી.વાય.એસ.પી. શ્રી સમીર શારડા, પ્રાંત અધિકારીશ્રી, સહિત સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓ /પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.









