Rajkot: રાજકોટ સંસદિય મતવિસ્તારમાં વિવિધ શાળાઓમાં મતદાન કુટીર, ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા

તા.૧૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આંબરડી(જામ) ખાતે આવેલ જીવનશાળામાં પ્રતીક મતદાનમથક ઊભું કરી બાળકોને કરાવવામાં આવી મતદાનની અનુભૂતિ
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ અવનવા આયોજનો દ્વારા મતદાનનો દર વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સામેલ રાજકોટ જિલ્લામાં વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં સામેલ અનેક શાળાઓમાં મતદાન કુટીર, ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.

લીલાપુરના મોહનદાદા વિદ્યાલય, જસદણની ક્રિષ્ના સ્કૂલ તેમજ ઇકરા સ્કૂલ, ભાડલાની વિવેકાનંદ હાઇસ્કુલ, વિરનગરની યુનિક સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં મતદાનની આવશ્યકતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની બહુરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દોરીને તેમજ સર્જનાત્મક સૂત્રો લખીને કરી હતી. અસરકારક કૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આંબરડી(જામ)ની જીવનશાળામાં જાણે મતદાન દિવસ હોય તેમ પ્રતીક મતદાનમથક ઊભું કરી બાળકોને મતદાન કરવાની અનુભૂતિ કરાવવામાં આવી હતી, જેનાથી બાળકો મતદારયાદી, મતપત્રની ગુપ્તતા વગેરે બાબતો સહિત ચુંટણીમાં મત આપવાની સમગ્ર પ્રક્રિયાની સહજ સમજણ પામ્યા હતાં.

વધુમાં વિદ્યાર્થીઓ ૭ મેના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને મતદાન શપથ લેવડાવવામાં આવી હતી. સ્વસ્થ લોકશાહી માટે દરેક નાગરિક પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવે તે જરૂરી છે, જે સુનિશ્ચિત કરવા ભવિષ્યના મતદાતાઓને નાનપણથી જ કેળવવાના હેતુથી ચૂંટણી પંચની પ્રેરણાથી શાળાના બાળકો માટે આવા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.








