
તા.૨૯/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોએ કપાસમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં / વાવણી સમયે લેવાના પગલાં સૂચવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.
કપાસમાં ચુસીયા પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન:
ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. જેથી, જમીનની તિરાડ કે કાટમાં ભરાઈ રહેલા મીલીબગનો નાશ થાય. બીજને ઇમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ.એસ. ૭.૫ મિલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમીથોકઝામ ૭૦ ડબલ્યુ.એસ. ૨.૮ મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી જોઈએ. જેથી, પાકની શરૂઆતની અવસ્થામાં યુસિયા પ્રકારની જીવાતોથી રક્ષણ મેળવી શકાય.
શેઢાપાળા ઉપર ઉગતા નિંદણો ખાસ કરીને ગાડર, જંગલી ભીંડા, કોંગ્રેસ પાસ વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો જોઈએ. મોલોમશી તથા તડતડિયાના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (કાઈસોપા)ના ઈંડા અથવા ઈયળને હેક્ટરે ૧૦ હજારની સંખ્યામાં બે વખત છોડવી જોઈએ. ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે કપાસના પાકની ફરતે બે હાર મકાઈની અથવા મકાઈના 10% છોડ અથવા કપાસની ૧૦ હાર પછી એક હાર મકાઈની લેવી જોઇએ.
કપાસમાં પાન અને ઝીંડવાને નુકસાન કરતી ઇયળોનું સંકલિત વ્યવસ્થાપન:
બીટી કપાસમાં ગુલાબી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે અગાઉ પાક પૂરો થઈ ગયા બાદ કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કડી અને જોડવા ભેગા કરી નાશ કરવો જોઈએ. શક્ય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઊંડી ખેડ કરવી જોઈએ. વહેલી પાકતી ચૂસિયા પ્રતિકારક, માન્ય બીટીશંકર જાતોના બિયારણ ની વાવણી (૧૫ જૂનથી ૧૫ જુલાઈ) માટે ઉપયોગ કરવો જોઈએ.
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસના બિયારણ ૪૭૫ ગ્રામમાં જ ૫-૧૦% નોન બીટી અથવા રેફ્યુજીયા બિયારણનું મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે તેનું વાવેતર કરવું જોઈએ. પિંજર પાક તરીકે દિવેલા અને પીળા ગલગોટાનું કપાસની ૧૦ હાર પછી એક હારમાં વાવેતર કરવું અને તેની ઉપર મુકાયેલી લીલી ઇયળ, લશ્કરી ઇયળોના ઈંડા તથા ઇયળોનો સમયાંતરે નાશ કરવો જોઈએ. કપાસની જીવાતોના કુદરતી દુશ્મનોની જાળવણી માટે કપાસમાં મકાઈ અથવા જુવાર અને ચોળીની ૧૦% પ્રમાણમાં છાંટ નાખવી જોઈએ.
લીલી ઇયળના નિયંત્રણ માટે કપાસના ખેતરની આજુબાજુ પિંજર પાક તરીકે બે હાર મકાઈ અથવા જુવાર અથવા હજારીગોટાનું વાવેતર કરવું જોઈએ. કાબરી ઇયળના નિયંત્રણ માટે કપાસના પાકની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવું જોઈએ. પાન ખાનારી ઇયળ (લશ્કરી ઈયળ)થી પાકને બચાવવા માટે કપાસના ખેતરની ફરતે દિવેલાનું વાવેતર કરવું જોઈએ. જેથી, લશ્કરી ઇયળની માદા ફૂદીઓ દિવેલાના પાક ઉપર ઈંડા મૂકે છે. દિવેલાના છોડ પરથી આવા ઈંડા અથવા ઈયળના સમૂહને એકઠા કરી તેનો નાશ કરવો જોઈએ.
કપાસના રોગોનું સંકલિત વ્યવસ્થાપન:
લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી જોઈએ. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો જોઈએ. લીલો પડવાશ, છાણિયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેરામડ અથવા મરઘાનું ખાતર ૨ ટન/હેક્ટર અથવા એરંડીના ૫૦૦ કિ.ગ્રા. ખોળમાં ૪ કિ.ગ્રા. ટાઈકોડાઈ હારજીથાનમનું મિશ્રણ કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાની ભલામણ છે.
આંતર પાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવું જોઈએ. કપાસમાં સુકારાના નિયંત્રણ માટે મકાઈને આંતર પાક તરીકે વાવવો જોઈએ. કપાસમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, રાઇડો અથવા બાજરીની ફેરબદલી કરવી જોઈએ. વાવણી સમયે બીજને કાર્બોકઝીન ૩૭.૫% થાઈરમ ૩૭.૫% ડીએસનાં મિશ્રણનો ૩.૫ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવેતર કરવું અથવા બીજને ટ્રાયકોડમાં હભરજીયાનમ અથવા ટ્રાયકોડમી વિરીડી જેવા જૈવિક ફુગ નિયંત્રકનો (૧૦ ગ્રામ/કિલો) પટ આપી વાવેતર કરવું જોઈએ.
કપાસમાં ખૂણિયા ટપકા અથવા કેમ્પેટ્રીસ રોગ બીજજન્ય હોવાથી બીજ માવજથી અટકાવી શકાય છે. જેથી, બીજની રુવાંટી દૂર કરવી જોઈએ. એક કિલોગ્રામ બીજમાં ૧૦૦ મિલી ગંધકનો તેજાબ નાખી ૨-૩ મિનિટ સતત હલાવતા રહેવું જોઈએ. ત્યારબાદ બીજને પાંચથી છ વખત સાદા પાણીમાં ધોઈ ત્યારબાદ પારાયુક્ત દવાઓ (એગ્રોસાન, સેરેસાન, ઇમિસાન ) પૈકી એક દવાનો ૨-૩ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો અથવા સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું જોઈએ.
કપાસમાં મૂળખાઈ અથવા મૂળનો સડો, સુકારો રોગના નિયંત્રણ માટે પાકની ફેરબદલી, ઈક્કડનો લીલો પડવાશ, છાણીયા ખાતર નો ઉપયોગ, મિશ્ર પાક તરીકે મઠ કે અડદનું વાવેતર, ટ્રાઈકોડમાં વિરડી @ ૫ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત અથવા ટ્રાયકોડમાં વિરીડી @ ૨.૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ૧૦૦ કિલોગ્રામ છાણીયા ખાતર સાથે વાવણી સમયે આપવું જોઈએ. કપાસમાં નવો સુકારો અથવા પેરાવિલ્ટના આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં કપાસનું વાવેતર નિકપાળાં પદ્ધતિથી પાળા ઉપર કરવું તથા જમીનમાં સેન્દ્રીય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ.
વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરી શકાય. આ અંગે વધુ જાણકારી નજીકના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરી શકાશે.