તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (જી.પી.એસ.સી.) દ્વારા તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ને રવિવારનાં રોજ સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૦૧ વાગ્યા સુધી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૦૩ની પ્રિલીમીનરી લેખિત પરીક્ષા અલગ-અલગ શાળા-કોલેજોમાં કુલ ૬૬ કેન્દ્રો ખાતે લેવામાં આવશે. પરીક્ષાર્થીઓ કોઇ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, તે હેતુસર શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા નીચે મુજબના પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.
આ ઉપરાંત, પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો તેમજ પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં.
આ આદેશો ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૦૮-૦૦ કલાકથી બપોરે ૦૨-૦૦ કલાક સુધી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રોમાં લાગુ પડશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.