
તા.૧૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સોરઠીયાવાડીમાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપનો “સનાતની” સાક્ષાત્કાર
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન નિત્ય મહાપ્રસાદ મહાઆરતી, દર સોમવારે ફરાળ પ્રસાદ, જન્માષ્ટમીએ મટકી ફોડ અને લોકડાયરા સહિતનાં શ્રેણીબધ્ધ સ-ધાર્મિક આયોજન
અધિક શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ આજે ગુરૂવારથી પ્રારંભ થઇ રહેલા પાવન શ્રાવણ માસની દિવ્ય ઉજવણી શરૂ થઇ છે. શહેરનાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી શિવભક્તોની ભીડ ઉમટી પડી છે ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર માટી નિર્મિત બાર જ્યોતિર્લિંગનો રાજકોટમાં સાક્ષાત્કાર થશે. સનાતની ગૃપ દ્વારા પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી ખાતે આજથી પુરા શ્રાવણ માસ દરમ્યાન હજ્જારો શિવભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરશે. ઉક્ત સ-ધાર્મિક આયોજનની સમિતિનાં અર્જુન બોરીચા (સબાડ), શૈલેષભાઇ પાબારી (એસપી), સંજયભાઇ બોરીચા (સવસેટા) અને નિખિલભાઇ પોપટ હેડલાઇન સાંધ્ય દૈનિકએ આ અંગે સવિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, માટી નિર્મિત 12 જ્યોતિર્લિંગના દર્શનનો લ્હાવો પુરા શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તો લઇ શકશે. નિત્ય સાંજે મિષ્ટાન સહિતની વિવિધ સાત્વિક વાનગીનો પ્રસાદનો લાભ અંદાજે એકાદ હજાર ભાવિકો લેશે. જ્યારે દર સોમવારે ફરાળ કે જેમાં પેટીસ, ફરાળી ચેવડો, ચીપ્સ, કેળા સહિતનો પ્રસાદ ત્રણેક હજાર ભોલેનાથનાં ભક્તોને વિતરીત કરાશે. જો વધુ ભાવિકોનો પ્રવાહ વધશે તો એ માટે પણ આયોજકોએ આગોતરી વ્યવસ્થા કરી રાખી છે. મતલબ બાર જ્યોતિર્લિંગનાં દર્શનાર્થે પધારેલો કોઇ ભક્ત પ્રસાદ ગ્રહણ કર્યા વિના પરત ન ફરે તે અંગે આયોજન કમિટિએ સુચારૂ વ્યવસ્થા ઉભી કરી છે.
આ ઉપરાંત જન્માષ્ટમીની રાત્રે ભક્તિ સંગીત શિવધૂન – શિવ આરાધનાની આહલેક જગાવતો લોકડાયરો તેમજ મટકીફોડ કાર્યક્રમનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે. આયોજક કમિટીએ વિશેષમાં માહિતી આપતા ‘હેડલાઇન’ને જણાવ્યું હતું કે શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ માટી નિર્મિત તમામ શિવભક્તિનું સોમનાથનાં દરિયામાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર વિસર્જન કરવામાં આવશે.
રાજકોટનાં આંગણે આયોજિત આ પ્રકારનાં સૌપ્રથમ આયોજનમાં શિવભક્તોને બાર જ્યોતિર્લિંગનાં દર્શન પ્રસાદનો લાભ લેવા આયોજન કમિટિએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે. વિશેષ માહિતી માટે સંજયભાઇ બોરીચા મો.નં.99241 00900 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.