કાલોલના રામનાથ ખાતે રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં વધુ એક મોત.મોત નો આંક વધીને ત્રણ થયો.

તારીખ ૨૭/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના રામનાથ ખાતે રાંધણગેસ બોટલ બ્લાસ્ટ અને આગ હોનારતની બનેલી ગોઝારી ઘટનામાં ત્રીજું મોત થયું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ સમગ્ર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી જ્યાં બે સપ્તાહ પૂર્વે કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવલ ફળિયામાં જયંતીભાઈ રાવલના મકાનમાં લાગેલી આગ સાથે રાંધણગેસ બોટલ બ્લાસ્ટ થતાં નાના બાળકો, મહિલાઓ સમેત કુલ ૨૨ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.તે પૈકી વધુ સારવાર માટે વડોદરા ખસેડાયેલા ૮ ઇજાગ્રસ્તો પૈકી આજે ત્રીજા મોતના સમાચારો સામે આવ્યા છે. અને ઘટના જે મકાનમાં બની હતી તે જયંતીભાઈ પૂજાભાઈ રાવળ ઉ.વ.૬૦ નું આજે વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર મધ્યે મોત નીપજ્યું છે.આ પૂર્વે ગોઝારી આ ઘટનામાં પ્રથમ લાલાભાઈ દામજીભાઈ પરમાર ઉ.વ.૪૫ અને તે બાદ વિષ્ણુભાઈ અરવિંદભાઈ ઓડ ઉ.વ.૨૨ નું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નિપજયા હતા.બીજી તરફ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર લઈ રહેલા ૧૪ ઇજાગ્રસ્તો પૈકી ૧૨ ની હાલત સુધારા પર અને સ્થિર જણાતા તેઓને રજા આપવામાં આવી છે.










