GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યો લીંબાળાના આંગણે; ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ

WANKANER:વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યો લીંબાળાના આંગણે; ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ

મોરબીમાં વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓથી લાભાન્વિત થતા ગ્રામજનો

‘૨૦૪૭ નું ભારત એટલે વિકસિત ભારત’ આવા સંકલ્પ સાથે દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજયમાં પણ સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતા રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીમાં વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં લોકોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાનો લાભ અને આ યોજનાઓ મેળવવા અંગેની યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આપેલું આયુષ્યમાન કાર્ડ એ એક ચેક જેવું જ છે. આકસ્મિક સમયે જરૂર પડ્યે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. વિધવા પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના સહિતની યોજનાઓથી સમાજ સલામત, સુરક્ષિત અને પગભર બની રહ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, બાળક માતાના ઉદરમાં હોય ત્યારથી જ આંગણવાડી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળક સુપોષિત બને તેમજ માતાનું આરોગ્ય પણ સારું બની રહે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે લીંબાળા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ, ખેતીવાડી તેમજ લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

શાળાના બાળકો દ્વારા સબ સે આગે હોંગે હિન્દુસ્તાની તથા પ્રકૃતિ સંરક્ષણ અંગેના નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ નાટક દ્વારા બાળકોએ સૌને પર્યાવરણ બચાવવા સંકલ્પ પણ લેવડાવ્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણી સર્વશ્રી હરુભા ઝાલા, જીજ્ઞાશાબેન, ગાંડાભાઈ, ગામનાં સરપંચશ્રી મરિયમબેન ચારોલિયા તેમજ ગ્રામજનો જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button