GUJARATJETPURRAJKOT

Rajkot: કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ બી.ટી. સવાણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી

તા.૨૧/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ રસાયણ અને ખાતર મંત્રાલયના મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા હોસ્પીટલના સેવાકીય કાર્યોથી પ્રભાવિત થયા હતા. તેમણે આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલને ઉદભવતા પ્રશ્નો શાંતિથી સાંભળ્યા હતા. આ ચર્ચા દરમિયાન આયુષ્માન ભારત યોજના અંતર્ગત હોસ્પીટલને થતાં પોલીસી લગત પ્રશ્નો જેવા કે, ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા થતી વિલંબિત ચુકવણી, બિનજરૂરી રીજેકશન, પેમેન્ટમાં બિનજરૂરી કપાત વગેરેનો ઉકેલ આપવાની મંત્રીશ્રીએ બાંયધરી આપી હતી.

આ ઉપરાંત કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અંગદાન બાદ અંગની ફાળવણીની સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ની નીતિના બદલે તાત્કાલિક ધોરણે નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)ની ગાઈડલાઈન્સની અમલવારી કરવા ખાત્રી આપી હતી, NOTTO પોલીસી લાગુ થતાં દરેક વિસ્તારના કિડની ફેલ્યોરના દર્દીઓને નજીકના ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં સગવડ મળી શકશે.

મંત્રીશ્રીએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. તથા આરોગ્ય ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને પબ્લિક-પ્રાઇવેટ સહયોગ વિષે ટ્રસ્ટી ડો. વિવેક જોષી, ડો. પ્રદીપ કણસાગરા, શ્રી રમેશભાઈ પટેલ, અને શ્રી નાનુભાઈ મકવાણા અને બીજા મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ડૉ.વલ્લભભાઈ કથીરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શીતાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button