કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ અને માણાવદર ખાતેના EVM સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું

કલેકટરશ્રીએ કેશોદના ૯ અને માણાવદરના ૮ મતદાન મથક ખાતેની પ્રાથમિક સુવિધાઓ પણ તપાસી
…..
કલેકટરશ્રીએ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે વર્ગખંડમા જઈ મતદાનના મહત્વ વિશે ચર્ચા કરી : વિદ્યાર્થીનીઓને તેમના પરિવારજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો
જૂનાગઢ તા.૨૧ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે કેશોદ અને માણાવદર ખાતેના EVM સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે કેશોદ અને માણાવદરના જુદા જુદા મતદાન મથકોની મુલાકાત કરી, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ તપાસી હતી.
કલેકટરશ્રીએ કેશોદ અને માણાવદર ખાતેના EVM સ્ટ્રોંગ રૂમની મુલાકાત સંદર્ભમાં જરૂરી તકેદારી લેવા માટે ની સૂચના આપી હતી. ઉપરાંત કેશોદના ૯ અને માણાવદરના ૮ મતદાન મથકની મુલાકાત કરતા મતદારો માટે રેમ્પ, શૌચાલય, પીવાના પાણી સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા કરવાની સાથે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
કલેકટરશ્રીની આ મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળાના વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીનીઓ સાથે મતદાનના મહત્વ વિશે વિશદ ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને તેમના પરિવારજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. ઉપરાંત લોકશાહીનું આ મહાપર્વ મતદારોના મતાધિકારના ઉપયોગ થકી જ સાર્થક થતું હોય છે. તેમ જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીની કેશોદ ખાતેની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી શ્રી કિસન ગરચર, મામલતદાર શ્રી મહેતા સહિતના અધિકારી અને એ જ રીતે માણાવદર ખાતેની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી શ્રી કે.પી. ગોહિલ મામલતદાર શ્રી મારૂ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










