તા.૨૨/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ “રવી કૃષિ મહોત્સવ-૨૩”ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.
તા. ૨૪ નવેમ્બર ૨૦૨૩થી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થનાર છે તેમજ બે દિવસીય “રવી કૃષિ મહોત્સવ-૨૩”નો પણ પ્રારંભ થનાર છે , ત્યારે રાજકોટ જિલ્લાના વિવિધ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ રૂપરેખા આપી હતી તેમજ તાલુકા અને જિલ્લા સ્તરે સ્થાનિક પદાધિકારીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોને રથ સ્વાગત તેમજ કૃષિ મહોત્સવમાં આમંત્રિત કરવા તથા સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવા અને લોકભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
કલેક્ટરશ્રીએ મિટિંગમાં તાલુકાવાર વિવિધ આયોજનો અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સેચ્યુરેશન એટલે કે ગ્રામ્ય સ્તરે નિયામાનુસાર તમામ લાયક લાભાર્થીઓને યોજનાના લાભ વિતરણનો લક્ષ્ય સિદ્ધ કરવા માટે સઘન પ્રયત્નો કરવા સૂચના આપી હતી. ઉપરાંત, રથ આગમન વખતે વિવિધ વિભાગોના સ્ટોલ અને લાભ વિતરણ વ્યવસ્થા અંગેની સુયોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય, લીડ બેન્ક, આઇ.સી.ડી.એસ., પુરવઠા વિભાગના સંબંધિત જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા કક્ષાએથી વિડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીશ્રીઓ જોડાયા હતા.








